અમદાવાદ: કોરોના મહામારી ફેલાવવાની વચ્ચે કેન્દ્ર સરકારે JEE અને NEETની પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા 28 ઓગસ્ટના રોજ રાજ્યમાં તમામ જિલ્લા મથકો અને શહેર ખાતે NSUI અને પક્ષના આગેવાનો કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરશે.
આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ માગ કરવામાં આવશે કે, વિદ્યાર્થીઓના જીવનને લઇ જોખમ ઉભું કરવામાં ન આવે અને તેમના ભવિષ્ય સાથે રમત કરવામાં ન આવે. જેથી JEE અને NEETની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓના ટેકામાં કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા દિલ્હી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન હાલમાં કરવામાં આવી રહ્યા છે.
NSUIના આગેવાનો પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે જ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવવામાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા JEE અને NEETની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓની માગણીને સમર્થન કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, દેશમાં કોરોનાના 500 કેસ સામે આવ્યા હતા, ત્યારે સરકારે શાળા કોલેજો બંધ કરાવી હતી અને લોકડાઉન જાહેર કર્યું હતું. પરીક્ષાઓ પણ રદ કરી હતી ત્યારે દેશમાં કોરોના વાઇરસના 30 લાખ કરતા વધારે કેસો આવી ચૂક્યા છે. મહામારી કોરોનામાં લોકો જીવ ગુમાવી ચુક્યા છે તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર NEET અને JEEની પરીક્ષા લેવા માટે જીદે ચડી છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આવા સંજોગોમાં પરીક્ષા લેવાનો નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. દેશના સાત રાજ્યોના મુખ્યપ્રધાન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત અને વિનંતી પણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અરજી કરવામાં આવી છે, તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર કોઈ વાત માનવા તથા વ્યવહારિક દ્રષ્ટિકોણથી સમજવા માટે હાલ તૈયાર લાગતી નથી.
જો કે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે ,ગુજરાતમાં NEET માટે 80 હજાર તથા JEE માટે 38 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરમાં 26 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સ્થળે આવનાર વાલીઓ અને તેમના પરિવારજનો પર કોરોના સંક્રમણનું જોખમ ઉભું થઇ રહ્યું છે. આ ઉપરાંત તેમના 100-150 કિલોમીટર ટ્રાન્સપોર્ટેશન રહેવા-જમવાની વ્યવસ્થા અભાવનો પ્રશ્ન છે. વિશ્વની ખ્યાતનામ તેવી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ કરી છે, ત્યારે ભારત સરકાર કેમ દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે જ પરીક્ષામાં સંકળાયેલા સ્ટાફના જીવ સાથે રમત રમી રહ્યા છે.