અમદાવાદઃ ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે. હાલમાંં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 200 વેન્ટિલેટર્સ ભારતને આપવાની વાત કરી છે. ગુજરાતની જયોતિ કંપનીએ કોરોનાના દર્દી માટે 866 વેન્ટિલેટર્સ વિનામૂલ્યે આપીને ‘જનસેવા’ અને ‘દેશસેવા’નું ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યાં હોય ત્યારે તેમાં વિવાદ ન હોવો જોઈએ.આ કંપનીને તેના વેન્ટીલેટરને ભારત સરકારની ત્રણ અધિકૃત કંપનીઓ (1) NABL (નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ) (2) EQDC (ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વૉલિટી ડેવલપમેન્ટ સેન્ટર) (3) IEC (ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન) દ્વારા ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણિત કરીને સેફટી એન્ડ પર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે. ત્યારે કોંગ્રેસના આરોપો પાયાવિહોણાં છે.
આ પ્રકારના આક્ષેપો કરવા પાછળ કોંગ્રેસનો ઈરાદો શું છે. ? LOCALને VOCAL બનાવવાની સામે વિરોધ છે ? શું કોંગ્રેસ સ્વદેશી ઉત્પાદનકારો અને આત્મનિર્ભરતાના વિચારો અને એકશનની વિરૂદ્ધમાં છે ? શું કોંગ્રેસ ગુજરાતના ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવા માંગે છે ? કોંગ્રેસે જનસેવા અને દેશસેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ અને સન્માન ન કરે તો કાંઈ નહીં પણ કોંગ્રેસે તેઓને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.