- રાજ્યમાં કોરોનો તાંડવમાં સતત વધારો દેખાઈ રહ્યો છે
- સોલા સિવિલમાં નવો ઓક્સિજનનો પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ
- ઓક્સિજનનો વપરાશ 50 લાખ લીટરની જગ્યાએ 1 કરોડ લીટરે પહોંચ્યો
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધતાં જાય છે. કોરોનાનો ભોગ બનેલા દર્દીઓમાં સૌથી વધારે લોકોમાં ઓક્સિજનને લગતી ફરિયાદો જોવા મળી રહી છે. જેથી ઓક્સિજનની અછત સર્જાતા પરિણામે માંગ વધતી છે. પરંતુ, અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલાના અભાવે પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઓક્સિજનનો જથ્થો વધારવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો પૂરતો પુરવઠો વિક્ષેપ રહિત મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
![સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ટેન્ક , oxygen tank constructed at sola civil hospital ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-01-sola-civil-hospital-plant-photo-story-7208977_22042021091426_2204f_1619063066_24.jpg)
આ પણ વાંચો: ગાંધીનગરની સિવિલ દ્વારા કોલવડા હોસ્પિટલમાં 300 લીટર પ્રતિ મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ નખાશે
ઓક્સિજનનો વપરાશ 1 કરોડ લીટરે પહોંચ્યો
સોલા સિવિલમાં સામાન્ય દિવસોમાં દૈનિક ધોરણે અંદાજે 50 લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે 1 કરોડ લીટરે પહોંચ્યો છે. ત્યારે, જિલ્લા વહીવટીતંત્રએ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આ આયોજનના ભાગરુપે 6 ટનની ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે, કોવિડની ગંભીર સ્થિતિ ન હતી ત્યારે, પાંચ ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી. પરંતુ, આજે ઓક્સિજનનો પુરવઠો વધુ જોઈતો હોવાથી ઓક્સિજન ટેન્ક દિવસમાં 3થી 4 વખત ભરવાની ફરજ પડે છે.
આ પણ વાંચો: ઓક્સિજનની માગને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ
ઓક્સિજનનો પુરવઠો માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાયા
નોંધપાત્ર બાબત એ છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાના વડપણ હેઠળ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે ઓક્સિજનની ટેન્ક ઈન્સ્ટોલ કરવાની યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ નોન-કોવિડ દર્દીઓની પણ ચિંતા કરતા તેમને પણ ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જિલ્લા વહીવટીતંત્રને દર્દીઓની સુવિધાઓ, ઓક્સિજનની સપ્લાય અને દર્દીઓના ભોજન જેવા શ્રેણિબદ્ધ મુદ્દાઓ પર અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ આપ્યા હતા.