નવી દિલ્હી: ભારત સરકારે હાલમાં અમલમાં રહેલી વિદેશી વેપાર નીતિ (2015 થી 20)ને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય (Govt extends foreign trade policy) કર્યો છે. સોમવારે આ માહિતી આપતા વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અમિત યાદવે જણાવ્યું હતું કે, વર્તમાન વિદેશ વેપાર નીતિને માર્ચ 2023 સુધી લંબાવવા (decision to increase foreign trade policy) માં આવી છે. તેનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે પૂરો થવાનો હતો.
વિદેશી વેપાર નીતિ: યાદવે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સંગઠનો અને નિકાસ પ્રમોશન કાઉન્સિલ જેવા વિવિધ ક્ષેત્રોને હાલની વેપાર નીતિ જાળવી રાખવા વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ સંગઠનો વર્તમાન પરિસ્થિતિમાં નવી વિદેશી વેપાર નીતિ લાગુ કરવાના પક્ષમાં નથી. વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે, ચલણની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ લાંબા ગાળાની વિદેશી વેપાર નીતિ માટે યોગ્ય નથી.
ચલણની અસ્થિરતા: વિદેશી વેપારની ગતિવિધિઓ સાથે સંકળાયેલા તમામ સંગઠનો માને છે કે, વૈશ્વિક પડકારો અને રૂપિયાની સ્થિતિમાં અસ્થિરતાને જોતા વર્તમાન નીતિને ચાલુ રાખવું યોગ્ય રહેશે. તેમનું કહેવું છે કે, નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ નવી વિદેશી વેપાર નીતિ લાગુ કરવી યોગ્ય રહેશે. અગાઉ, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, સપ્ટેમ્બરના અંત સુધીમાં તે નવી વિદેશી વેપાર નીતિ જારી કરશે.