- મુઝફ્ફરપુરની માટીમાં સંગોપાયેલી છે ક્રાંતિકારી ખુદીરામ બોઝની સ્મૃતિ
- ફક્ત 19 વર્ષની વયમાં માં ભારતી માટે ફાંસીના ફંદે ઝૂલી ગયાં હતાં
- તેમના પ્રદાને સ્વતંત્રતા સંગ્રામની દિશા બદલી હતી
મુઝફ્ફરપુરઃ મુઝફ્ફરપુરના આ બહાદુર ક્રાંતિકારી ખુદીરામની ( Khudiram Bose) નિર્ભયતા અને બહાદુરીથી બ્રિટિશ શાસન એટલું ડર્યું હતું, કે તેને માત્ર 19 વર્ષની નાની ઉંમરે ફાંસી આપવી પડી હતી. ભારતીય ચળવળના આ મહાનાયક સાથે જોડાયેલી ઘણ સ્મરણો આજે પણ મુઝફ્ફરપુરની ધરતી પર મોજૂદ છે, જેમાં કેટલીક સ્મૃતિઓ આજે પણ સચવાયેલી છે. જ્યારે કેટલીક નિશાનીઓ હવે કાળક્રમે સરકારી ઉદાસીનતા દ્વારા નષ્ટ પણ થઈ રહી છે.
9માં ધોરણમાં ભણતાં ખુદીરામે આઝાદીના જંગમાં ઝંપલાવ્યું
બ્રિટિશ શાસનની ચુંગાલમાંથી આઝાદી મેળવવા માટે કંઈ પણ કરવાની ઈચ્છા ધરાવતા ખુદીરામ બોઝનો ( Khudiram Bose) જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયો હતો, પરંતુ મુઝફ્ફરપુર આ મહાન ક્રાંતિકારીની કર્મભૂમિ બની રહી છે, જ્યાં તેઓ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને આઝાદીના ઇતિહાસમાં અમર બન્યાં છે. ખુદીરામ બોઝ 9માં ધોરણમાં ભણતાં હતાં, ત્યારે જ આઝાદીની ચળવળમાં ઝંપલાવી દીધું હતું. તેમણે 1905માં બંગાળના વિભાજન સામેના આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. ખુદીરામની નિર્ભયતા અને આઝાદી માટેનો તેમનો જૂસ્સો જોઈને માત્ર 17 વર્ષની ઉંમરે 28 ફેબ્રુઆરી 1906ના રોજ પ્રથમ વખત તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે અંગ્રેજોને ચકમો આપીને જેલમાંથી ભાગી ગયા હતાં.
બ્રિટિશ જજને પાઠ ભણાવવા ફેંક્યો બોમ્બ
સ્વતંત્રતા ચળવળમાં શામેલ દેશભક્તોને કડક સજા આપનારા બ્રિટિશ જજ કિંગ્સફોર્ડને પાઠ ભણાવવા માટે ખુુદીરામે ( Khudiram Bose) તેમના સાથી પ્રફુલચંદ ચાકી સાથે 30 એપ્રિલ 1908ના રોજ મુઝફ્ફરપુરમાં સેશન્સ જજની કાર પર બોમ્બ ફેંક્યો હતો, પરંતુ તેની કારમાં સેશન્સ જજ ન હતાં અને તેને બદલે તેમના પરિચિત 2 યુરોપિયન મહિલા કેનેડી અને તેમની પુત્રી હતાં, જે બન્ને આ હુમલામાં મોતને ભેટ્યા હતા. આ હુમલા પછી ખુદીરામ બ્રિટિશરોની આંખે ચડી ગયાં અને અંગ્રેજ ફોજ આદુ ખાઈને તેમના પાછળ પડી ગઈ હતી. ભાગવાના પ્રયાસો વચ્ચે ખુદીરામ બોઝની સમસ્તીપુરના પૂસા સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. આ હુમલામાં ખુદીરામ બોઝના સહાયક પ્રફુલચંદ મોકામામાં પોલીસ અથડામણમાં માર્યા ગયાં હતાં. આ બાદ તેમને માત્ર 19 વર્ષની ઉંમરે 11 ઓગસ્ટ 1908ના રોજ મુઝફ્ફરપુર જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં જે સેલમાંં આ મહાન ક્રાંતિકારીને રાખવામાં આવ્યાં હતાં અને જેલમાં જ્યાં ફાંસી આપવામાં આવી હતી, તે બન્ને સ્થળો હજુ પણ મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં સાચવવામાં આવ્યા છે.
જેલને અપાયું ખુદીરામ બોઝનું નામ
આજે પણ મુઝફ્ફરપુર સેન્ટ્રલ કારાગાર શહીદ ખુદીરામ બોઝ સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાય છે. અહીં તેમની શહીદીના દિવસે એક મોટા સરકારી કાર્યક્રમનું આયોજન થાય છે અને સવારે 4 વાગ્યે જેલમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જોકે અફસોસ કે આજે પણ અમર ક્રાંતિકારી ખુદીરામ બોઝની ( Khudiram Bose) શહીદીના સ્થળે સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
ખુદીરામના કેસના ન્યાયિક દસ્તાવેજો કોલકાતા મ્યૂઝિયમમાં
આ સિવાય મુઝફ્ફરપુરમાં જે સ્થળે ખુદીરામ બોઝે ( Khudiram Bose) જજ કિંગ્સફોર્ડ પર બોમ્બ ફેંક્યો હતો અને ફાંસી આપ્યા બાદ જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં, તે જગ્યા સચવાયેલી છે. તેમના કેસોની સુનાવણી સંબંધિત તમામ ન્યાયિક દસ્તાવેજો બિહારમાં નહીં, પણ કોલકાતાના મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યાં છે. જેની એક નકલ મુઝફ્ફરપુર કોર્ટમાં લાવવાનો કેટલીક સામાજિક સંસ્થાઓ હજુ પણ પ્રયાસ કરી રહી છે.
વણકરોએ ખુદીરામનું નામ લખેલી ધોતીઓ બનાવી હતી
ખુદીરામ બોઝ ( Khudiram Bose) ખૂબ જ નાની ઉંમરે દેશ માટે શહીદ થયાં બાદ એટલા લોકપ્રિય થયાં કે બંગાળના વણકરોએ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ પ્રકારની ધોતી વણવાનું નક્કી કર્યું હતું, જેના પર ખુદીરામ લખેલું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ ખુદીરામના નિધન પર ભારે શોક વ્યક્ત કર્યો હતો. તેમની શહીદીને પગલે તે સમયે શાળાઓ ઘણા દિવસો માટે બંધ રહી હતી. ખુદીરામ બોઝ પછી મુઝફ્ફરપુર લાંબા સમય સુધી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંકળાયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું ખૂબ મહત્વનું કેન્દ્ર બની રહ્યું હતું.