ન્યૂઝ ડેસ્ક: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી ગઢડા વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. ગઢડા બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.
ગઢડા બેઠકનો ટૂંકો ઈતિહાસ
બોટાદ નવો જિલ્લો બન્યો તે પહેલાં બોટાદ સહિતના તમામ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકારે નવા જિલ્લાઓ બનાવવાની કરેલી જાહેરાત બાદ બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાઓનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો. જે હાલ બોટાદ જિલ્લા તરીકે ઓળખાય છે. બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે. આ કારમથી જ પેટા ચૂંટણીમાં પણ આ બન્ને જ્ઞાતિનું વર્ચસ્વ જોવા મળે છે.
ગઢડા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જેના લીધે ગઢડા આમ તો ભાજપ માટે વોટબેન્ક કહેવાય છે. પરંતુ આ બેઠક અનુસૂચિત જનજાતિના લોકો માટે હોઈ, આ બેઠક ઉપર હંમેશા બહારથી જ ઉમેદવારને ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવે છે. આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો, 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે અને 2 વખત કોંગ્રેસના પ્રવીણ મારૂ વિજેતા થયા છે.
આ વખતની પેટા ચૂંટણીમાં મુખ્ય જંગ ભાજપના આત્મારામ પરમાર અને કોંગ્રેસના મોહન સોલંકી વચ્ચે છે. 2107ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજેતા બન્યા હતા. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા હવે ફરી એકવાર ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
- ગઢડા વિધાનસભા બેઠકના જ્ઞાતિ પ્રમાણે સમીકરણ
- પટેલ મતદાતા - 53 હજાર 650
- કોળી - 45,680
- ક્ષત્રિય - 9,954
- બ્રાહ્મણ- 5,295
- ભરવાડ - 11,063
- રાજપુત - 10,936
- આહિર - 7,574
- લઘુમતી - 17,938
- લુહાર-સુથાર - 5,395
- પ્રજાપતિ - 4,950
- દલિત - 11,250
- અન્ય- 4,507
ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા ૨ લાખ ૫૦ હજાર ૯૮૯ છે. જેમાંથી પુરૂષ મતદાતા ૧ લાખ ૩૦ હજાર ૬૬૨ અને મહિલા મતદાતા - ૧ લાખ ૨૦ હજાર ૩૨૬ છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવું ગઢડા શહેર 'સ્વામીના ગઢડા' તરીકે પણ ઓળખાય છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા ગામ આમ તો પ્રવસીઓના લીધે તેનો રોજિંદો વ્યવહાર અને આર્થિક આવક મેળવે છે. પરંતુ અહીં કહી શકાય તેવો એક પણ ઉદ્યોગ નથી. માત્ર યાત્રાધામ તરીકે ગઢડા ઓળખાતું હોઈ અહીં આવતા પ્રવાસીઓના કારણે બજારોમાં રોનક જોવા મળે છે.
સ્થાનિક મુદ્દા
નેતાઓના પક્ષપલટાના કારણે અહીંના લોકોને પેટા ચૂંટણીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પણ અહીંના લોકોને પાયાની જરૂરિયાતના મુદ્દે પણ અસંતોષ રહ્યો છે. જેથી કોરોના કાળમાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં લોકોમાં મતદાનને લઈને કેટલો ઉત્સાહ છે અને જનતા કોને જીતાડશે એ તો ગણતરીના દિવસે જ ખબર પડશે.