- કોરોનાએ વધુ એક ડોક્ટરનો લીધો ભોગ
- પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું કોરોનાથી નિધન
- ડો. કે.કે. અગ્રવાલ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં હતા દાખલ
નવી દિલ્હીઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, હાર્ટ કેર ફાઉન્ડેશનના પ્રમુખ અને પદ્મશ્રી ડો. કે. કે. અગ્રવાલનું 62 વર્ષની વયે સોમવારે રાત્રે 11.30 વાગ્યે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ હતા. ત્રણ દિવસ પહેલા જ તબિયત બગડવાના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન
ડો. અગ્રવાલ વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થયા હતા
ઉલ્લેખનીય છે કે, મહિના પહેલા જ ડો. કે. કે. અગ્રવાલને વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ડો. કે. કે. અગ્રવાલને મેડિકલ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવા માટે વર્ષ 2010માં પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા હતા. ડો. અગ્રવાલ કોરોના સંક્રમિત થયા બાદ તેમને એઈમ્સના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો. અગ્રવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 28 એપ્રિલે જાણકારી આપી હતી કે, તેઓ કોરોના સંક્રમિત છે.
આ પણ વાંચોઃ બારડોલી કોલેજના આચાર્ય ડૉ. વી. એન. પટેલનું કોરોનાથી નિધન
કોરોના સંક્રમિત હોવાની જાણકારી ડો. અગ્રવાલે ટ્વિટર પર આપી હતી
ડો. કે. કે. અગ્રવાલના નિધન અંગે સત્તાવાર રીતે જાણકારી આપતા તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, ખૂબ જ દુઃખ સાથે સૂચિત કરવામાં આવે છે કે, ડો. કે. કે. અગ્રવાલનું 17 મેએ રાત્રે 11.30 વાગ્યે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. તેઓ જ્યારથી ડોક્ટર બન્યા હતા ત્યારથી તેમણે પોતાનું જીવન લોકો અને આરોગ્ય જાગૃકતાને સમર્પિત કરી દીધું હતું.