કાનપુરઃ લગ્ન એક એવું પવિત્ર બંધન છે, જે આજીવન એક સ્ત્રી અને પુરૂષને ઝકડી રાખે છે. પરંતુ આજના સમયમાં લોકો નજીવી બાબતમાં લગ્ન બંધન તોડતા અચકાતા નથી, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો ઉત્તરપ્રદેશના કાનપુરથી, જ્યાં એક પતિએ એટલા માટે તેની પત્નીને તલાક આપી દીધા જેનું કારણ જાણીને આપને આશ્ચર્ય થશે. પતિએ તેની પત્નીને એટલા માટે તલાક આપ્યા કારણ કે, તેની પત્નીએ આઈબ્રો કરાવ્યો હતો.
દહેજ માટે સાસરિયાં આપતા હતા ત્રાસઃ બાદશાહીનાકા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલી બજારની રહેવાસી ગુલસબાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીના નિકાહ (લગ્ન) 17 જાન્યુઆરી 2022ના રોજ પ્રયાગરાજના કોહના ફૂલપુરના રહેવાસી મોહમ્મદ ઈસ્લામના પુત્ર મોહમ્મદ સલીમ સાથે મુસ્લિમ ધર્મના રીતિ-રિવાજ અનુસાર થયા હતા. ગુલસાબોના માતા-પિતાએ પોતાની ક્ષમતા કરતાં વધુ દહેજ પણ આપ્યું હતું. મહેમાનોની આવભગત માટે પણ ઘણો ખર્ચો કર્યો હતો. આમ છતાં સાસરિયાં ખુશ ન હતા. તેઓ દહેજ તરીકે કારની માંગણી કરતા હતા. લગ્નના ત્રણ મહિના પછી જ્યારે પતિ સાઉદી અરેબિયામાં નોકરી કરવા ગયો, ત્યારે સાસરિયાઓએ તેને ખાવા-પીવાથી લઈને કપડાં પહેરવા-ઓઢવા જેવી દરેક બાબત માટે હેરાન કરવાનું શરૂ કર્યું. આમ છતાં તે ચૂપ રહી. તેણીને આશા હતી કે, જ્યારે તેનો પતિ વિદેશથી આવશે ત્યારે બધું સારું થઈ જશે. આરોપ છે કે, સાસરિયાં ગુલસબાસોના પતિ અને પોતાના પુત્ર એવા મોહમ્મદ સલીમને રોજ ફોન પર ઉશ્કેરતા હતા.
મે ના પાડી છતા આઈબ્રો કરાવ્યો: ગુલસાબાએ આરોપ લગાવ્યો છે કે, 4 ઓક્ટોબર 2023ના રોજ તે તેના મામાના ઘરે હતી. આ દરમિયાન પતિએ વીડિયો કોલ કર્યો હતો. થોડીવાર વાતો કર્યા પછી પતિની નજર તેના આઈબ્રો પર પડી. આ જોઈને તેને ગુસ્સો આવ્યો. પૂછવા લાગ્યો કે મે મનાઈ કરી હોવા છતાં કેમ તે આઈબ્રો કરાવ્યો? ત્યાર બાદ વીડિયો કોલ કટ કરી દીધો અને થોડી વાર પછી ઓડિયો કોલ કર્યો અને કહ્યું કે, તે મારી વાત નથી સાંભળી એટલે તને તલાક (છૂટાછેડા) આપી રહ્યો છું. આ પછી તેણે ત્રણ વાર તલાક કહીને ઓડિયો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
પોલીસ કરી રહી છે તપાસ: આ મામલે એસીપી નિશંક શર્માએ જણાવ્યું હતું કે, બાદશાહિનાકા પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા અરજી આપવામાં આવી છે. જેમાં તેણે પોતાના સાસરિયાઓ દ્વારા દહેજ માટે હેરાન કરવાનો આરોપ મુક્યો છે. મહિલાના પતિએ તેને સાઉદી અરબથી એવા માટે છૂટાછેડા આપી દીધા હતા કારણ કે તેના પતિના ના પાડવા છતાં તેણે આઈબ્રો કરાવ્યો હતો. પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને આ મામલે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.