આ જાહેરાતના પગલે હોમ લોન લેનારા અને વાહનોની લોન લેનારા લાખો લોકોને ઘણી મોટી રાહત મળી હતી કેમ કે સમગ્ર દેશભરમાં હાલ આર્થિક પ્રવૃત્તિઓ સદંતર બંધ છે જેના કારણે પગારદાર લોકોના પગારો સમયસર થવા ઉપર શંકાના વાદળો ઘેરાઇ ગયા હતા અને એવામાં તેઓની વિવિધ લોનના હપ્તા ચૂકવવાની તારીખ નજીક આવી રહી હતી જેના કારણે તેઓ ઘેરી ચિંતામાં મૂકાઇ ગયા હતા, પરંતુ રિઝર્વ બેંકની આ જાહેરાતના પગલે તેઓને ઘણી મોટી રાહત મળી ગઇ છે.
સ્મોલ ફાઇનાન્સ બેંક, સ્થાનિક એરિયાની બેંકો, કો-ઓપરેટિવ બેંકો, ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂસન્સ, અને આરઆરબી સહિતની તમામ કોમર્સિયલ બેંકો માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ, અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિતની તમામ એનબીએફસીને તેઓના ગ્રાહકોની 1 માર્ચ, 2020ના રોજની બાકી રહેતી તમામ પ્રકારની ટર્મ લોનના હપ્તા ત્રણ મહિના સુધી નહીં લેવાની પરવાનગી આપવામાં આવે છે એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇથી વીડિયો કોન્ફરન્સ મારફતે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ટર્મલોનના હપ્તા ત્રણ મહિના સુધી નહી લેવાથી અને વર્કિંગ કેપિચલ ઉપરનું વ્યાજ નહીં લેવાથી તે બેંકોનું કોઇપણ પ્રકારનું એસેટ ક્લાસિફિકેશન ડાઉનગ્રેડ ગણાશે નહીં, અને તે લોન એકાઉન્ટને બેડ લોન તરીકે પણ ગણાશે નહીં. જો કે મૂળભૂત રીતે આ સમયગાળા દરમ્યાન કોઇ લોનની ચૂકવણીમાં લોનધારક ડિફોલ્ટર થાય ત્યારે એસેટ ક્લાસિફિકેશન ડાઉનગ્રેડ થતું હોય છે.
કોરોના વાઇરસના રોગચાળાને પગલે દેશના અર્થતંત્ર ઉપર પડેલા ફટકાની તિવ્રતાને ઘટાડવા આરબીઆઇએ નીતિવિષયક વ્યાજદરને ઘટાડવા ઉપરાંત દેશની નાણાંકીય સિસ્ટમમાં વધારવાની રકમ ઠાલવવા બેંકો દ્વારા બાજુએ મૂકવામાં આવતી રૂ. 2.74 લાખ કરોડની રકમમાં પણ ઘટાડો કર્યો હતો.
લંબાણપૂર્વકની ચર્ચા બાદ મોનેટરી પોલીસી કમિટિ (એમપીસી)એ ફૂગાવાનો દર તેના લક્ષ્યની મર્યાદામાં જ રહે તે બાબતને સુનિશ્ચિત કરતાં અને કોવિડ-19ની અસરને ઘટાડવા તથા વિકાસને પુન: બેઠો કરવા જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી નીતિવિષયક રેપો રેટમાં નાનો સરખો ઘટાડો સૂચવતી દરખાસ્તની તરફેણમાં સર્વાનુમત આપ્યો હતો એમ કહેતા શક્તિકાંત દાસે મુંબઇ ખાતે 24, 26 અને 27 માર્ચના રોજ મળેલી એમપીસીની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી.
4 વિરુધ્ધ 2ની બહુમતીથી એમપીસીએ પ્રવર્તમાન 5.15 ટકાનો રેપો રેટ 0.75 બેઝીસ પોઇન્ટ ઘટાડીને 4.4 ટકા કરવાની દરખાસ્તને માન્ય રાખી હતી. ઉલ્લેખનીય છે કે બેંકો ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે ત્યારે રિઝર્વ બેંક દ્વારા જે દરે વ્યાજ લેવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. તે ઉપરાંત બેંકો તેઓનું વધારાનું ભંડોળ રિઝર્વ બેંકમાં જમા ન કરાવે એવા એક પ્રયાસ તરીકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેના તફાવતને ઓછો કરવા એમપીસીએ પ્રવર્તમાન 4.9 ટકાના રિવર્સ રેપો રેટ (જે દરે બેંકો રિઝર્વ બેંક પાસે પોતાની થાપણો મૂકે છે તેના ઉપર લાગતો વ્યાજનો દર) માં 0.90 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને તેને 4 ટકા સુધી ઘટાડી દીધો હતો. તદઅનુસાર માર્જિનલ ફેસિલિટી રેટ અને બેંક રેટને 5.40 ટકા પરથી ઘટાડીને 4.65 ટકા સુધીનો કરી દેવામાં આવ્યો છે એમ આરબીઆઇ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
મોનેટરી પોલીસીની બેઠક વાસ્તવમાં 31 માર્ચના રોજ મળવાની હતી અને તેમાં લેવાનારા નિર્ણયોની જાહેરાત 3 એપ્રિલના રોજ કરવાની હતી પરંતુ આરબીઆઇ દ્વારા તેની મિટિંગની તારીખો આગળ લાવીને આ રાહતના પગલાંની જાહેરાત કરાઇ હતી. મોનેટરી પોલીસી કમિટિની મંજૂરી વિના રિઝર્વ બેંક રેપો અને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખાતા નીતિવિષયક વ્યાજદરમાં ઘટાડો કરી શકી ન હોત. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ-1934 અંતર્ગત મોનેટરી પોલીસી કમિટિને નીતિવિષયક વ્યાજદરો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. અન્ય દેશોમાં કોરોના વાઇરસનો રોગચાળો જેવો ફાટી નીકળ્યો કે તરત જ યુરોપ અને અમેરિકાની બેંકોએ લોકોને રાહત આપતા પગલાં જાહેર કરી દીધા હતા પરંતુ દેશના લોકો જ્યારે જાહેર આરોગ્યના પડકારનો સામનો કરી રહ્યા છે એવા સમયે પણ રિઝર્વ બેંક રાહતના પગલાં જાહેર કરવામાં વિલંબ કરી રહી છે એવી આકરી ટીકા થતાં આરબીઆઇએ એમપીસીની મિટિંગની તારીખો આગળ લાવી દીધી હતી.
લોન ધારકોને રાહત:- ઇએમઆઇમાં રાહત
એક મોટો નિર્ણય લેતા આબીઆઇએ નાણાંકીય સિસ્ટમમાં રહેલાં તમામ લેણદારો અર્થાત શિડ્યુલ્ડ કોમર્સિયલ બેંકો, આરઆરબી, કો-ઓપરેટિવ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, સ્થાનિક વિસ્તારની બેંકો અને માઇક્રો-ફાઇનાન્સની સંસ્થાઓને તેઓના લોન ધારકો પાસેથી 31 માર્ચ 2020ના રોજ બાકી રહેતી પર્શનલ લોન, વાહન લોન કે હોમ લોનના હપ્તા ત્રણ મહિના સુધી નહી લેવાની મંજૂરી આપી હતી. અર્થાત આ તમામ પ્રકારની લોન પૂરી કરવાની કુલ મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરી શકાશે. એટલે કે જો લોન ધારક આ ત્રણ મહિના દરમ્યાન પોતાની જે તે લોનનો હપ્તો ભરવામાં સક્ષમ ન હોય તો લેણદાર સંસ્થા તેની લોન પૂરી કરવાની કુલ મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરી શકશે અને આ પ્રકારના એકાઉન્ટને નોન પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) તરીકે ગણવામાં આવશે નહીં.
અગાઉ એવો નિયમ હતો કે જો લોન ધારક તેની જે તે લોનની મૂડી કે વ્યાજની ચૂકવણી કરવામાં 90 દિવસ સુધી નિષ્ફળ રહે તો તે લોન એકાઉન્ટને એનપીએ અથવા બેડ લોન તરીકે ગણવાના રહેતાં, અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓના કિસ્સામાં એનપીએ જાહેર કરવાની સમય મર્યાદા 120 દિવસની રાખવામાં આવી હતી. તે ઉપરાંત આરબીઆઇએ એમ પણ સ્પષ્ટતા કરી હતી કે આ ત્રણ મહિનાના સમય દરમ્યાન હપ્તો નહીં ભરનાર લોન ધારકની ક્રેડિટ (શાખ)માં પણ કોઇ ઘટાડો નહીં થાય
વેપાર-ધંધાને રાહત:-
વેપારીઓ-ધંધાદારીઓના સમુદાયને રાહત આપતાં એક મોટા નિર્ણયમાં આરબીઆઇએ તમામ બેંકો અને લેણદાર સંસ્થાઓને વેપાર-ધંધાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા તેઓને અપાયેલી ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટની સુવિધા ઉપર લાગતા વ્યાજની ચૂકવણીને પણ પાછી ઠેલવાની મંજૂરી આપી હતી.
આરબીઆઇએ કહ્યું હતું કે આ સમયગાળા દરમ્યાન નહિ ચૂકવાયેલા સંચિત વ્યાજની ચૂકવણી ડિફરમેન્ટનો સમય (ત્રણ મહિના) પૂરો થયા બાદ કરવાની રહેશે, અર્થાત તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને તેઓની વર્કિંગ કેપિટલ લોનના વ્યાજની ચૂકવણીમાંથી ત્રણ મહિનાની મુક્તિ આપવામાં આવી હતી.
સિસ્ટમમાં નાણાં ઠાલવાને પ્રોત્સાહન આપવતા પગલાં:-
સિસ્ટમમાં નાણાં ઠાલવવા માટે આરબીઆઇએ તમામ બેંકો માટે લાગુ પ્રવર્તમાન 4 ટકાના કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) ને એક વર્ષ માટે 100 બેઝીસ પોઇન્ટ ઘટાડીને 3 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના કારણે દેશની નાણાંકીય સિસ્ટમમાં વધારાના રૂ. 1.37 લાખ ઠલવાશે.
આરબીઆઇએ બેંકો દ્વારા દરરોજ જાળવવા પડતા ઓછામાં ઓછા 90 ટકાના સીઆરઆરને ઘટાડીને 80 ટકા કરી દીધો હતો. 28 માર્ચથી અમલમાં આવતી વન ટાઇમ વિન્ડોની પ્રથા આ વર્ષે હવેથી ફક્ત 26 જૂન સુધી લાગુ પડશે. આરબીઆઇએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (એમએસએફ) અંતર્ગત આવતા એકોમોડેશનને પણ પ્રવર્તમાન 2 ટકાના સ્ટેટ્યુટરી લિક્વિડીટી રેશિયો (એસએલઆર)ને પણ વધારીને એસએલઆરના 3 ટકા સુધી કરી દીધો હતો. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે અને આ વર્ષે 30 જૂન સુધી અમલમાં રહેશે. આ નિર્ણયના કારણે પણ સિસ્ટમમાં આપોઆપ વધારાના રૂ. 1.37 લાખ કરોડ ઠલવાશે. આમ સીઆરઆર માં ઘટાડો અને એમએસએફમાં વધારો કરવાના બે નિર્ણયના કારણે દેશની નાણાંકીય સિસ્ટમમાં વધારાના રૂ. 2.74 લાખ કરોડ ઠલવાશે. યાદ રહે કે ગત ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં નાણાંકીય સિસ્ટમમાં કુલ જીડીપીના 3.2 ટકા જેટલા નાણાં ઠાલવવામાં આવ્યા છે.
આરબીઆઇએ કહ્યું હતું કે એમપીસીની ગત ફેબ્રુઆરી-2020માં મિટિંગ મળી ત્યારથી આજદિન સુધીમાં સિસ્ટમમાં 2.8 લાખ કરોડની રકમ ઠાલવવામાં આવી છે જે કુલ જીડીપીના 1.4 ટકા જેટલી થવા જાય છે જ્યારે આજની જાહેરાત બાદ સિસ્ટમમાં ઠલવાનારા કુલ રોકડ નાણાંની રકમ કુલ જીડીપીના 3.2 ટકા જેટલી થઇ જશે.
માર્કેટ સામાન્ય રીતે કામ કરતું રહે, દેશનો વિકાસ ધબકતો રહે અને નાણાંકીય સ્થિરતા જળવાઇ રહે તે બાબત સુનિશ્ચિત કરવાની અમારી ફરજ છે એમ શક્તિકાંત દાસે કહ્યું હતું. જો કે ફૂગાવાના દર વિશે કે જીડીપીના વૃધ્ધિદર વિશે કોઇ આગાહી કરાઇ નહોતી. દેશમાં હાલ પ્રવર્તમાન અનિર્ણાયક સ્થિતિને ધ્યાનમાં લેતા આ વખતે આરબીઆઇએ જીડીપીના વૃધ્ધિદરનો કે ફૂગાવાના દરનો કોઇ પણ જાતનો અંદાજ રજૂ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
કોરોના વાઇરસના રોગચાળાને કારણે સર્જાયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિને પહોંચી વળવા રિઝર્વ બેંકે તેના બિઝનેસ કન્ટ્યુનિટી પ્લાન અંતર્ગત તેની જ ઓફિસમાં સ્ટાફના કર્મચારીઓ, સેવાઓ પૂરી પાડનાર કર્મચારીઓ અને આઇટી સપોર્ટ પૂરો પાડનાર કર્મચારી મળીને કુલ 150 લોકોને કોરન્ટાઇન કર્યા હતા.
શક્તિકાંતે દેશના લોકોને એવી પણ ખાતરી આપી હતી કે બેંકોમાં મૂકેલા તેમના નાણાં તદ્દન સલામત છે અને ભયમાં આવી જઇને તે નાણાં ઉપાડી લેવાની કોઇ જરૂર નથી.