નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી લોકડાઉનની વચ્ચે રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્ય પરત મોકલવા માટે રાજ્યોએ રેલ વિભાગને 1000થી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની અનુમતિ આપી છે.
ભારતીય રેલવેએ છેલ્લા 15 દિવસમાં પ્રવાસી શ્રમિકોને પોતાના ઘરે પહોંચાડવા માટે રાજ્યો પાસેથી 1000થી વધુ ટ્રેનના પરિચાલનની અનુમતિ માગી હતી. સત્તાવાર આંકડા અનુસાર, સૌથી વધુ સંખ્યામાં પ્રવાસી શ્રમિક ઉત્તર પ્રદેશથી પરત ફરી રહ્યા છે, જ્યાં બીજી તરફ પોતાના લોકોને પરત લાવવા માટે બિહાર બીજા નંબરે છે.
આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળે આઠ, રાજસ્થાને 23, ઝારખંડે 50 અને ઓડિશાએ 52 ટ્રેનોના પરિચાલનની અનુમતિ આપી છે.
ભારતીય રેલવે કોવિડ 19 લોકડાઉનને કારણે દેશના વિભિન્ન ભાગોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા માટે પહેલી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે.
રેલવેએ પણ અત્યાર સુધી 932 ટ્રેનો દ્વારા 12 લાખથી વધુ પ્રવાસીઓને તેમના ઘરે પહોંચાડ્યા છે.