નવી દિલ્હી: સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશને સરકારને કોરોના વાઈરસના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી રકમ દર વર્ષે 15,000 રૂપિયા કરવાની સલાહ આપી હતી. આ યોજનામાં ઉંચી આવક ધરાવતા સિવાયના તમામ ખેડુતોને તેમના ખાતામાં સીધા ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે કુલ 6000 રૂપિયા મળે છે.
પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામિનાથનના નેતૃત્વમાં સ્વામિનાથન ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે, હાલમાં આ યોજનામાંથી મળેલા નાણાં "હાલના નુકસાનની ભરપાઇ કરવા અને આગામી પાકની વાવણીની જરૂરિયાત પ્રમાણે અપૂરતા છે.
તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, કૃષિ અને બાગાયત ખાતાએ શાકભાજી અને ફળો જેવા નાશવંત કૃષિ પેદાશોના માર્કેટિંગ માટે ઝડપી પગલા લેવા જોઈએ. સાથે જ કૃષિ મજૂરોને તેમના ગામમાં રોજગારીની પૂરતી તકો મળી રહી નથી અને તેમના માટે સુરક્ષાના પૂરતા પગલા ભરવા જોઈએ.