નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 6,700થી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાઇરસના કહેર સામે લડવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે, આ લોકડાઉનને આગળ વધારવું કે નહીં, આ મુદ્દે આજે વડાપ્રધાન મોદી નિર્ણય લઇ શકે છે.
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને 24 માર્ચે સાંજના સમયે દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો હતો. 25 માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનનો અંતિમ દિવસ 14 એપ્રિલ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી આજે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી બેઠક કરશે. માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
મુખ્યપ્રધાનો સાથે ચર્ચા શનિવારે સવારે 11 વાગ્યે થવાની છે. આ બેઠકમાં લોકડાઉનની સમીક્ષા કરવામાં આવશે. સરકારની જરૂરિયાતમંદોને આપવામાં આવતી રકમ અને રાશનની પણ સમીક્ષા થઇ શકે છે. જો કે, આ બેઠક પહેલાં ઓડિશા અને પંજાબમાં 1 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે.
આ અગાઉ વડાપ્રધાન મોદી બુધવારે થયેલી બેઠકમાં લોકડાઉન વધારવાના સંકેત આપી ચૂક્યા છે. ત્યારે PM મોદીએ કહ્યું હતું કે, કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈ લાંબી છે. તમામ લોકોનું જીવન બચાવવું સરકારની પ્રાથમિકતા છે. જેથી મોટા નિર્ણયો લેવાની જરૂર છે અને આપણે નિરંતર સતર્ક રહેવાની જરૂર છે.