પેરિસમાં યુનેસ્કોનું મહાસંમેલન ચાલી રહ્યું છે. જેમાં ભારતે ગુરૂવારે જમ્મુ-કાશ્મીર પર ખોટા દાવા અને પ્રચારનો પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું કે, પોતે આર્થિક રીતે બર્બાદ દેશ આતંકવાદનું DNA છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા અનન્યા અગ્રવાલે કહ્યું કે પાકિસ્તાનની આવી હરકતનું કારણ તેમની નબળી અર્થવ્યવસ્થા છે. પાકિસ્તાનના કટ્ટરપંથી સમાજ અને આતંકવાદના મૂળ ખૂબ ઉંડા ઉતરેલા છે. યુનેસ્કોના પ્લેટફૉર્મનો ખોટો ઉપયોગ કરી પાકિસ્તાન ભારત વિરુદ્ઘ ઝેર ઓકી રહ્યું છે. પાકિસ્તાન 2018માં નબળા દેશોના આંકમાં 14માં સ્થાને હતું.
અનન્યા અગ્રવાલે ઉમેર્યુ કે, પાકિસ્તાનમાં આતંકીઓ ઉભા થઈ રહ્યાં છે. તેમને પોષણ અપાઈ રહ્યું છે. પાકિસ્તાન એકમાત્ર દેશ છે. જ્યાં સંયુક્ત રાષ્ટ્રના પ્લેટફોર્મનો ઉપયોગ કરી પરમાણુ હુમલાની ધમકી આપે છે. તેમણે ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન આપેલા નિવેદનનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનમાં 1947 બાદ અત્યાર સુધી લઘુમતીઓની વસ્તી 23 ટકાથી ઘટી 3 ટકા થઈ ગઈ છે. જેમાં સિખ, ઈસાઈ, અહમદિયા, હિન્દુ, શિયા અને પસ્તૂન સિંધી સહિત બલૂચનો સમાવેશ થાય છે.