સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની દુકાનનું નામ પોતાના બાળકો, માતા-પિતા, વ્હાલુ અને આદરપાત્ર વ્યક્તિ કે પછી ભગવાનના નામે રાખે છે. પરંતુ અમદાવાદના અશોક પરમારે પોતાની ફુટવેરની દુકાનાનું નામ 'એકતા' રાખ્યુ છે. આ પાછળ તેમનો ઉદ્દેશ્ય સામાજીક સંવેદના અને સમરસતાને નવી ઉંચાઈ આપનાર છે.
એકતા ચંપલ ઘર નામ રાખવા પાછળનું કારણ આપતા અશોકભાઈ પરમાર કહે છે કે, 2002 થી 2014 સુધી મને કોઈ જાણતું નથી. જે તસવીરના રમખાણોમાં ફરતી થઈ હતી એ કોની છે. ક્યાંની છે એ કોઈને ખબર નથી. મીડિયાએ મારી છબી ક્ટ્ટરવાદી તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી. હું આખા ભારતમાં હિન્દુત્વનો ચહેરો બની ગયો હતો. મારા નજીકના લોકોને જ ખબર છે કે હું કટ્ટરપંથી નથી. ત્યારપછી 2014માં મારી મુલાકાત કુતુબુદ્દીન અંસારી સાથે થઈ. અમારા બંનેની છબી ખોટી ઉપસાવી કઢાઈ છે. આ છબીને દુર કરવા મેં આ નામ રાખવાનું વિચાર્યુ છે. મારી દુકાનનું ઉદ્વઘાટન મેં મારા મુસ્લિમ મિત્ર કુતુબુદ્દીનભાઈના હસ્તે કરાવ્યુ છે.
ફુટપાથ પર મોચીનું કામ કરતા અશોકભાઈનો સમય બદલાયો અને તેમણે ફુટવેરની દુકાન શરુ કરી. આ બદલાવ માત્ર ફુટપાથથી દુકાન સુધીનો જ નહી. આ પરિવર્તનની સાથે અશોકભાઈના વિચારોનું પણ પરિવર્તન થયુ છે. કુતુબુદ્દીનભાઈએ દુકાનનું ઓપનીંગ કરી પ્રગતિ કરવા બદલ શુભેચ્છા પણ પાઠવી છે. કુતુબુદ્દીનભાઈએ કહ્યુ હતું કે, એક સામાજીક મંચ ઉપરથી અશોકભાઈએ કોમી એકતાની વાત કરી હતી. તેનાથી હું ખુબ પ્રભાવીત થયો હતો. ત્યારથી અમે બંને મિત્રો છે.
મોચીનું સામાન્ય કામ કરતા અશોકભાઈએ હિન્દુ-મુસ્લિમ એકતા માટે જે વાત કરી છે. જો એ સમજી લેવાઈ તો બે કોમ વચ્ચેનું ઝેર એક મીઠા સબંધમાં પરિણમી શકે. અશોકભાઈ અને કુતુબુદ્દીનભાઈની મિત્રતા તેની મિશાલ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે.