નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસના નેતાઓનું પ્રતિનિધિ મંડળ ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું,જે વિજય ચોકથી રાષ્ટ્રપતિ નિવાસ તરફ કૂચ કરી હતી..
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યુ કે, સરકારે હિંસા સામે આંખ આડા કાન કર્યા છે. દિલ્હી અને કેન્દ્રની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે. જેથી હિંસા મામલે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે. દિલ્હી હિંસામાં 34 લોકોનાં મોત થયાં છે. સોનિયા ગાંધીએ ફરી એકવાર અમિત શાહના રાજીનામાની માગ કરી છે. એવો આરોપ મૂક્યો છે કે તેઓ સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે.
કોંગ્રેસના આ પ્રતિનિધિ મંડળમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ, અહેમદ પટેલ, કે.સી. વેણુગોપાલ, આનંદ શર્મા સહિત અન્ય નેતાઓ પણ આ પ્રતિનિધિ મંડળમાં હાજર રહ્યા હતા. આ પહેલાં દિલ્હી હિંસાને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હિંસામાં ગત ત્રણ દિવસમાં 32 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે અને 200 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ અગાઉ દિલ્હી પોલીસે હિંસા મામલે 106 લોકોની ધરપકડ કરી છે અને 18 લોકો સામે FIR નોંધવામાં આવી છે.