- ઉત્તરાખંડમાં 2013 બાદ જળપ્રલયની બીજી ઘટના
- અત્યાર સુધીમાં 26 લોકોના મોતની પુષ્ટિ, 200થી વધુ લાપતા
- મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે સમીક્ષા કરી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી
જોશીમઠ/દહેરાદૂન: ઉત્તરાખંડમાં વર્ષ 2013 બાદ ફરી એક વખત હોનારત સર્જાઈ છે. અગાઉની જેમ આ વખતે પણ જળપ્રલયને પગલે હાહાકાર મચી ગયો છે. જેમાં અત્યાર સુધી 26 લોકોના મૃત્યુની પુષ્ટી થઈ ગઈ છે. જ્યારે, 200થી વધુ લોકો ગુમ થયા છે. આ ઘટનાને લઈને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પરિસ્થિતિની સમીક્ષા કરવા જોશીમઠ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ETV ભારતનાં ઉત્તરાખંડ બ્યૂરોના ચીફ કિરણકાંત શર્માએ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પાસેથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.
કેન્દ્ર સરકારે મોકલી વૈજ્ઞાનિકોની ટીમ
મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું કે, ભારત સરકારે આ આપદાને લઈને સંશોધન કરવા કેટલાક વૈજ્ઞાનિકોને અહીં મોકલ્યા છે. વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરશે અને આ ઘટનાનું કારણ જણાવશે. વધુમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટના ગ્લેશિયરને કારણે નહિ, પરંતુ ટિગર પોઇન્ટ પર પથ્થરો તૂટવાને કારણે અને તાજા બરફને કારણે થઈ છે. 14 ચોરસ કિ.મી. વિસ્તારમાં તાજો બરફ પડ્યો હતો અને તેમાં પાણી હતું. જે ઢાળ ધરાવતા સાંકડા માર્ગો પરથી નીચે ઉતરતા પૂરનો પ્રકોપ સર્જાયો હતો.
ઋષિગંગા પ્રોજેક્ટ સંપૂર્ણ પણે નાશ પામ્યો
તપોવન પાવર જંકશન અંગે મુખ્યપ્રધાન રાવતે કહ્યું કે, આ પાવર જંકશન હજુ શરૂ કરાયું નથી અને ઋષિગંગા પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. તેને લઈને હવે ભવિષ્યમાં વિચારવામાં આવશે. ઋષિગંગા પ્રોજેક્ટને તૈયાર થવા માટે એક દાયકાથી વધુ સમય લાગ્યો હતો. આપત્તિએ ગણતરીની મિનીટોમાં બધી મહેનત પર પાણી ફેરવી દીધુ હતું પરંતુ આ ક્ષણે લોકોને બચાવવાની પ્રાથમિકતા છે. આ સિવાય મુખ્યપ્રધાન રાવત આપત્તિમાં ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં ગયા હતા અને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી.