કોરોના વાઈરસના પડકારને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજીક અંતર વધારવા માટે દેશને હાંકલ કરી છે ત્યારે લોકો લોકડાઉનમાં પોતાના ઘરમાં જ રહે છે. જેના કારણે મોબાઇલ ઇન્ટરનેટના વપરાશમાં અભુતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. પરિણામે સરકાર અને મોબાઇલ સેલ્યુલર કંપનીઓ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર પર થનારી અસરને લઇને ચિતિંત છે. જેથી બધી જ મોબાઇલ ટેલીકોમ કંપનીઓએ તાત્કાલિક ધોરણે કેટલાંક મહત્વના પગલા ભર્યા છે. જેમાં અસ્થાયી ધોરણે હાઇ ડેફીનેશન (એચડી) અને અલ્ટ્રા હાઇ ડેફીશનેશન ( યુએચડી) સ્ટ્રીમીંગને એસડી (સ્ટાન્ડર્ડ ડેફીનેશન) કરી દેવામાં આવી છે. અને બીટટ્રેટ 480પીથી નહી વધારવાનો નિર્ણય પણ સેલ્યુલર કંપનીઓએ લીધો છે.
ભારતના ડિજિટલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આ પડકારોને લઇને જાગૃત છે અને દરેક ઇચ્છે છે કે દેશના તમામ નાગરિકો મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરી શકે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ક્યાં ક્યાં પડકારો છે? અને તેને પહોંચી વળવા માટે ક્યાં પગલા ભરી શકાય? તે અંગેની ચર્ચા કરવા માટે સ્ટાર અને ડીઝની ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયુ હતુ, ડીજીટલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વર્ચ્યુઅલ રીતે યોજાયેલી આ બેઠકમાં સોનીના એન પી સિંઘ, ગુગલના સંજય ગુપ્તા, ફેસબુક ઇન્ડિયાના અજીત મોહન, વાયકોમ 18ના સુધાંશુ વત્સ , એમેઝોન પ્રાઇમ વિડીયોના ગૌરવ ગાંધી, ઝીના પુનિત ગોએન્કા, ટિકટોક ઇન્ડિયા તરફથી નિખિલ ગાંધી, નેટફ્લીક્સના અંબિકા ખુરાના, એમએક્સ પ્લેયરના કરણ બેદી અને હોટસ્ટારના વરૂણ નારંગ આ મીટીંગમાં જોડાયા હતા.
ડિજિટલ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોએ મીટીંગમાં રાષ્ટ્ર અને ગ્રાહકોના હિતમાં કાર્ય કરવાનો અને સેલ્યુલર નેટવર્ક કંપનીઓનીઓને મજબુત કરવા માટે નિર્ણય લીધો છે. જેમાં સર્વસંમતિથી બધા સંમત થયા છે કે તમામ કંપનીઓ એચડી કે અલ્ટ્રા એચડી સ્ટ્રીમીંગને સ્ટાન્ડર્ડ સ્ટ્રીમીંગમાં પરિવર્તિત કરવા પગલા લેશે. જે આગામી 14 એપ્રિલ 2020 સુધી અમલમાં રહેશે. આમ. ડિજિટલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ હવે તાત્કાલિક અસરથી સક્રિય થયા છે.