હૈદરાબાદ : પવિત્ર શ્રાવણ નિમિતે શહેરના એલ.બી.નગર વિસ્તારમાં પંચદિવસીય સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્સંગ શિબિર 13મી ઓગષ્ટ થી 17મી ઓગષ્ટ સુધી રહેશે જેમાં શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વીમી અને હરિદર્શનદાસજી સ્વામી વ્યાસપીઠે બીરાજી કથા પઠન કરી રહ્યા છે. આ કથાનો લાભ લેવા આ વિસ્તાર અને નજીકના વિસ્તારમાં વસતા અનેક ગુજરાતી હરિભક્તો ઘણી મોટી સંખ્યામાં સપરિવાર ઉપસ્થિત રહે છે.
શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
સ્વાતંત્ર્ય પર્વના દિવસે આ કથામાં ભગવાન શ્રી રામ જન્મોત્સવનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવાવામાં આવ્યો હતો. શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વીમીના શ્રીમુખે ભરતજીનો હરણ બાળનો પ્રસંગ અનેક જીવનોપયોગી દ્રષ્ટાંતો સાથે ઉપસ્થિત સહુના અશ્રુ ભીંજવી ગયો, જ્યારે હરિદર્શનદાસજી સ્વામીએ ભગવાન શ્રી રામ જન્મોત્સવનો પ્રસંગ ઘણીજ સહજ શૈલી અને રમૂજ સાથે વર્ણવ્યો હતો.
શ્રી રામ જન્મોત્સવ ઉજવતા સહુ ગરબે રમ્યા
કથામાં ભગવાન શ્રી રામ જન્મોત્સવનો પ્રસંગ થતાં જ સહુ ઉપસ્થિત પોતાનું સ્થાન છોડીને ગરબે રમવા લાગ્યા હતા. કથામાં ઉપસ્થિત સંતગણોએ પણ હરિભક્તો સાથે રામલલાના જન્મના વધામણાં કર્યા હતા. ત્રીજા દિવસની કથાના વિરામ અગાઉ લવ ફૉર કાઉ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા મોમેન્ટો અર્પણ કરી વ્યાસપીઠના આશીર્વાદ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સહુ હરિભક્તોએ રામલલાને પારણે ઝુલાવી કૃતજ્ઞતા અનુભવી સર્વે સંતગણના આશીર્વાદ લઈને પ્રસાદ ગ્રહણ કરીને વિદાય લીધી હતી.