અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને તેમજ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ અને ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેનના કુલ 10 ફેરા: ટ્રેન નંબર 09449 અને ટ્રેન નંબર 09450 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનના કુલ 10 ફેરા થશે. ટ્રેન નંબર 09449 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર બુધવારે અમદાવાદ થી 10 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 4:30 કલાકે ગોરખપુર પહોંચશે.

29 નવેમ્બર 2024 સુધી સેવા: એ જ રીતે ટ્રેન નંબર 09450 ગોરખપુર-અમદાવાદ સ્પેશિયલ 01 નવેમ્બરથી 29 નવેમ્બર 2024 સુધી દર શુક્રવારે ગોરખપુરથી સવારે 07:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 2:00 વાગ્યે અમદાવાદ પહોંચશે.
કયા ક્યા સ્ટેશનો પર થોભશે: માર્ગમાં બંને દિશાઓમાં, આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, બારાબંકી, અયોધ્યા ધામ, મનકાપુર અને બસ્તી સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રેહશે.
ટિકિટ બુકિંગ શરૂ: ટ્રેન નંબર 09449નું બુકિંગ આજથી એટલે કે, 29 ઓક્ટોબર, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોને ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાનો અનુરોધ કરાયો છે.