સુરત : પોષ એકાદશીએ સુરતના રામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો જીવતાં કરચલા ચડાવવા ઉમટી પડ્યાં હતાં. આ મંદિરે શા માટે જીવતાં કરચલાં ચડાવવાની માનતા રાખવામાં આવે છે અને તેનું શું મહત્ત્વ છે તે જાણીએ. સુરત : શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. આવું જ એક મંદિર છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મંદિર, કદાચ વિશ્વમાં મહાદેવનું આ એક એવું મંદિર હશે કે જ્યાં જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે. પોષી એકાદશીના દિવસે અહી મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં ભક્તો માનતા પૂર્ણ થતા અને માનતા લેવા શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે.
શિવલિંગ પર જીવતા કરચલા ચડાવાય છે : તાપી નદી તટે વસેલા સુરત શહેરમાં અનેક મંદિરો આવેલા છે. જેમાનું એક ઉમરા સ્થિત આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે. આ મંદિરમાં લોકો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. પોષી એકાદશીએ અહી મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શનાથે આવે છે અને શિવલિંગ પર જીવતા કરચલાં ચડાવે છે. માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય અને માનતા પૂર્ણ થતાં અહી આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આજના દિવસે પણ અહી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને લોકો શિવલિંગ પર જીવતા કરચલાં ચડાવીને માનતા પૂર્ણ થતાં અને માનતાં લેતા જોવા મળ્યાં હતાં.
શ્રીરામે અહી પિતૃતર્પણ વિધિ કરી : લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમ્યાન અહી આવ્યા હતા અને પોતાના કમાનથી આ શિવલિંગ ઉત્પન્ન કરી હતી. આ દરમ્યાન પિતા દશરથ રાજાના અવસાનના સમાચાર તેઓને મળતા પ્રભુ શ્રીરામએ અહી પિતૃ તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કોઈ બ્રાહ્મણ નહી મળતાં તેઓએ સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી જેથી સમુદ્ર દેવ પ્રગટ થયા હતાં અને શ્રીરામએ અહી પૂજા કરી હતી. સમુદ્રના મોજાના કારણે અનેક જીવતાં કરચલાં શિવલિંગ પર આવી પડ્યાં હતાં. જેથી સમુદ્રદેવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી અને આ જોઇને ભગવાન ઘેલા બન્યાં હતાં જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું.
એકાદશીએ મેળાનું આયોજન : ભગવાન રામે કરચલાંને યોગ્ય સન્માન મળે તે ઉદેશથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવણભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલાં ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે માહાત્મ્ય આંકવામાં આવે છે.જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે અને જીવતા કરચલાં ચડાવે છે.
માનતા રાખી હતી અને પૂર્ણ થઈ : ભક્ત અંજનાબેને જણાવ્યું હતું કે તેઓએ માનતા રાખી હતી અને પૂર્ણ થઈ છે જેના કારણે તેઓ શિવલિંગ પર કરચલાં ચડાવવા માટે આવ્યાં છે. કાનમાં થતી સમસ્યાઓ કરવા માટે માનતા રાખી હતી અને આ સમસ્યા દૂર થતા તેઓ કરચલાં ચડાવવા માટે આવ્યા છે.
દર વર્ષે ભક્તોની ભીડ જામે : ભક્ત સુરેશભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે હું આ મંદિરમાં આવું છું મારી ખૂબ જ આસ્થા છે. દર વર્ષે ભક્તોની ભીડ જામે છે. આ મંદિર ખૂબ જ પ્રચલિત અને જૂનું મંદિર છે. કોઈપણ ઉંમરના વ્યક્તિને કાનમાં દર્દ હોય તો માનતા રાખી તેને દૂર થાય તેવી પ્રથા અહીં પ્રચલિત છે.
મારી ખૂબ જ આસ્થા છે : ભક્ત ફેનીલભાઈ શાહે જણાવ્યું હતું કે, કાનની સમસ્યા જ નહીં પરંતુ જે કોઈ પણ માનતા રાખે તેની માનતા અહીં પૂર્ણ થાય છે. મારી ખૂબ જ આસ્થા છે અને આજના દિવસે હું ચોક્કસથી મંદિર આવું છું.
- Poshi Ekadashi: એકમાત્ર શિવમંદિર જ્યાં શિવલિંગ ઉપર જીવતા કરચલા ચઢાવવામાં આવે છે, જાણો રહસ્ય
- Rajkot News : ચમત્કારિક હનુમાનજીનો પ્રસાદ ખાવાથી માનતા થાય છે પૂર્ણ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ લીધી મુલાકાત