ગાંધીનગર: રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે કડક વલણ અપનાવ્યું છે. અગ્નિકાંડમાં SIT તપાસના બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાના વધુ કેટલાક અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના TPO અને કાર્યપાલક ઈજનેરને પૂછપરછ માટે બોલાવ્યા છે. ગઈકાલે 4 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આજે વધુ 2 અધિકારીઓ ગાંધીનગર પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે. ગુરુવારે રાજકોટના ચીફ ફાયર ઓફિસરનું નિવેદન લેવામાં આવ્યું છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને 2 પોલીસ અધિકારીના ગાંધીનગર ખાતે નિવેદન લેવાયા હતા. SIT દ્વારા તપાસની ગુપ્તતા જાળવવામાં આવી છે.
SIT દ્વારા તપાસ શરુ: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે SITએ રાજકોટ મહાનગરપાલિકાના વધુ કેટલાક અધિકારીઓની પૂછપરછ હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના TPO અને કાર્યપાલક ઈજનેરની પૂછપરછ કરવામાં આવી છે. ગઈકાલે ચાર અધિકારીની પૂછપરછ કરાઇ હતી. SITએ મનપા અધિકારીઓની પણ પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. ગેમ ઝોન 2021થી ધમધમતો હતો ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ શું ધ્યાન રાખ્યું? તે ઉપરાંત મનપાના ઇજનેરોએ પણ દિવસ રાત ધમધમતા ગેમ ઝોનમાં કેમ કોઈ તપાસ કરી નહીં. ગેમઝોનમાં NOC,ચકાસણી, અધિકારીઓની જવાબદેહી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે.
DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે: ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા 1 IAS અને 3 IPSની આવતી કાલે પૂછપરછ થાય તેવી સંભાવના છે. DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. આજે સવારે પોલીસ ભવન ખાતે તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. 2021થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.
અધિકારીઓની ભૂમિકા હશે તો FIR નોંધાશે: તપાસ સ્ટેટસ, નિવેદન અને કાર્યવાહી અંગે માહિતી SIT વડાએ ગૃહ રાજ્ય મંત્રીને બેઠકમાં આપેલી માહિતી અનુસાર ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ તેમજ તપાસ દરમિયાન લેવામાં આવેલા નિવેદન તેમજ નિવેદનને આધારે કરેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં જે જે લોકો તપાસ દરમિયાન સામે આવનારી માહિતીને આધારે જે તે વ્યક્તિ કે અધિકારી નિવેદન લેવા માટે જરૂરી મંજૂરી બાબતની ચર્ચા કરવામાં આવી હતી. SITની તપાસમાં જો કોઈ અધિકારીઓની ભૂમિકા સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ જણાશે તો તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવશે.
SIT વડાએ આપી ચીમકી: SITના વડા સુભાષ ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અગ્નિકાંડમાં કોઈપણ દોષિત અધિકારીઓને છોડવામાં નહીં આવે. સમગ્ર પ્રકરણમાં બદલી પામેલા IPS અને IPS અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓને પણ નિવેદન નોંધાવા માટે SITનું તેડું આવશે. દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસમાં કશું નીકળશે અથવા SITના નામે સરકાર સમય પસાર કરી રહી છે તેની પર સમગ્ર રાજ્યની જનતાને મીટ મંડાયેલી છે. ભૂતકાળમાં સર્જાયેલા અકસ્માતોમાં સરકાર IAS અને IPS અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નબળી સાબિત થઇ છે આ વખતે સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું.