કચ્છ: ભુજના એરપોર્ટ રોડ પાસેના શ્રી ક્રિષ્ના નગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં અંદાજિત 100 જેટલા ઘર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોસાયટીના ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે અને વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં ગટરના પાણી આ સોસાયટીમાં ઠેર ઠેર ભરાઈ ગયેલ છે અને ભયંકર રોગચાળો ફેલાવવાનો ભય પણ રહેલો છે તો સ્થાનિકોના જણાવ્યા મુજબ હવે મગરના બચ્ચા પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.

સમસ્યાથી છુટકારો મેળવવા રજૂઆત: આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કર્યા છતાં આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. અરજી કર્યા બાદ ગટર સાફ કરવા માટે કર્મચારીઓ આવે છે, પરંતુ બીજા દિવસે ફરી એજ સમસ્યા ઊભી થાય છે. ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ ગ્રાઉન્ડ સ્તરે આ સોસાયટીની મુલાકાત લઈને સમસ્યા જાણે તેવી રજૂઆત કરી હતી અને મુલાકાત બાદ ચોક્કસથી આ સમસ્યા ઉકેલવા માટે પગલાં લે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી હતી.

ઘરની ચેમ્બરમાંથી પણ ગટરના પાણી નીકળ્યા: ત્યાંનાં સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી સોસાયટી શ્રી કૃષ્ણનગરમાં 15મી જુલાઈથી ગટર (બ્લોક)નો પ્રોબલમ છે. અવાર નવાર ભુજ નગરપાલીકાને રજુઆત કરવા છતાં આ સમસ્યા યથાવત રહી છે. પહેલા સોસાયટીની મેઈન ચેમ્બરમાંથી પાણી નીકળતું હવે ઘરની ચેમ્બરમાંથી પણ ગટરના પાણી નીકળે છે. હાલ કચ્છમાં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાઈ રહયા છે. તેમાં બે થી ત્રણ બાળકોના મૃત્યુ પણ થયા છે. તેમજ હાલ વરસાદી માહોલ પણ છે ત્યારે ઠેર ઠેર ગટર વહી રહી છે. જેના લીધે માખી મચ્છરનું પ્રમાણ પણ ખુબ જ વધી ગયા છે. આ બાબતે તત્કાલીન ધોરણે આ સમસ્યાનો યોગ્ય રસ્તો તેમજ નિરાકરણ થાય એવી સોસાયટીના રહેવાસીઓએ માંગ કરી છે.

વર્ષ 2021માં પણ ગટર લાઇન તેમજ ચેમ્બર માટે રજૂઆત કરવામાં આવી: આ ઉપરાંત સોસાયટીની શેરી નંબર 2માં 28 જેટલા ઘર હોવા છતાં આ શેરીમાં નગરપાલીકાની ગટર લાઇન તેમજ ચેમ્બર એક પણ નથી. ચેમ્બર ન હોવાને કારણે 15-20 દિવસે ગટર ઉભરાય છે અને તકલીફ થાય છે. જેથી ગટરની ચેમ્બર વહેલી તકે થઈ જાય.તેમજ નિયમિતપણે સાફ સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત 21 જૂન 2021ના રોજ સોસાયટીના રહેવાસીઓએ કરી હતી પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

કોન્ટ્રાકટર સાથે વાત કરી સમસ્યાનો નિકાલ લાવવા આદેશ: ભુજ નગરપાલીકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ક્રિષ્નાનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગટર લાઈન મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેના માટે જેતે સમયે આ સોસાયટીમાં ઘર બનાવનાર કોન્ટ્રાકટર સાથે વાત કરવામાં આવી હતી તેમજ નવી ચેમ્બર અને ગટરલાઇન નાખવા મટે વાત કરવામાં આવી છે અને આ સમસ્યાનું જેમ બને તેમ નિકાલ લાવવામાં આવશે.આ ઉપરાંત અન્ય વિસ્તારોની પણ સમસ્યાઓ જેમ જેમ ધ્યાનમાં આવે છે તેમ તેમ તેનું નિરાકરણ તાત્કાલિક આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.