અમરેલી: ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં પૌરાણિક અને ઐતિહાસિક વાવ અને કૂવાઓ આવેલા છે. જૂનાગઢના ઉપરકોટમાં આવેલી અડીકડીની વાવ, નવઘણ કૂવા ખૂબ જ જાણીતા છે. આ વાવ અને કૂવાનો ઇતિહાસ પણ રોચક અને ગૌરવવંતો છે.
લાલિયા ભૂતની વાવ: અમરેલી જિલ્લામાં પણ ઘણી ઐતિહાસિક અને પૌરાણિક વાવો આવેલી છે. જિલ્લાના લાઠીમાં આવેલી એક એવી વાવ છે જે એક ભૂતે બનાવી હોવાની લોકલાયકા છે. 7 કોઠાની આ અદ્ભુત નકશી કામો સાથેની વાવ એક જ રાતમાં લાલિયા નામના ભૂતે ખોદીને બનાવી હોવાની માન્યતા છે. એટલે આ વાવને લાલિયા ભૂતની વાવ કહેવામાં આવે છે. તેમજ અહીં બે માતાજીના મંદિર પણ આવેલા છે.આ ઉપરાંત વાવની આસપાસ પણ કેટલાંક દેવી-દેવતાઓના મંદિરો આવેલા જેના દર્શન કરવા માટે લોકો આસ્થાપૂર્વક અહીં ઉમટી પડે છે.
વાવની વિશેષતા અને ઈતિહાસ
લાલિયા ભૂતની વાવની વિશેષતાની વાત કરીએ તો, આ વાવમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરોમાં ક્યાંય પણ સિમેન્ટ, ચૂનો કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને ડાયરેક્ટ પથ્થરની ગોઠવણી કરવામાં આવી છે. આ વાવ લાલિયા નામના ભૂતે 125 ભૂતો સાથે મળીને એક જ રાતની અંદર ખોદીને બનાવી હોવાની લોકવાયકા છે. વાવની અંદર ‘લાલિયા ભૂત’ ની મૂર્તિ પણ આવેલી છે. આશરે 400 વર્ષ પુરાણી આ વાવ હોવાનું ઈતિહાસકારોનું માનવું છે. એક લોકવાયકા એવી છે કે, લાલિયા ભૂતના તોફાનો વધતા સાગોરા પીરે તેમને વશ કરીને બેસાડ્યો હતો
![આશરે 400 વર્ષ પુરાણી આ વાવ હોવાનું ઈતિહાસકારોનું માનવું છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-12-2024/gj-amr-lathi-bhut-vav_16122024102121_1612f_1734324681_601.jpg)
વાવ વિકસાવવાની માંગ
લાલિાય ભૂતની વાવની આજુબાજુ ઐતિહાસિક સ્થળો આવેલા છે, સાથે જ આ વાવની બાજુમાં એક દરગાહ પણ આવેલી છે, આ ઉપરાંત અહીં રામજી મંદિર અને અન્ય મંદિરો અને જૈન મંદિર પણ અહીં આવેલા છે. ત્યારે લાલિયા ભૂતની વાવ તરીકે ખ્યાતિ પામેલ લાઠીની વાવને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી સ્થાનિકોની લાગણીઓ છે.
![અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલી છે લાલિયા ભૂતની વાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-12-2024/gj-amr-lathi-bhut-vav_16122024102121_1612f_1734324681_879.jpg)
કેવી રીતે પહોંચી શકાય ?
ધાર્મિક દ્રષ્ટીની સાથે સાથે અહીં લોકો ઐતિહાસિક ધરોહરને જોવા પણ આવે છે. ત્યારે લાલિયા ભૂતની વાવ સુધી પહોંચવું પણ ખુબ જ સરળ છે, અમરેલીથી માત્ર 18 કિલોમીટરના અંતરે લાઠીમાં આવેલી આ વાવ સુધી કાર, બસ અને ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.