આજથી સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ - GUJARAT GOVT CHINTAN SHIBIR
સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે સીધી રીતે જોડાયેલા પદાધિકારીઓ સામેલ થશે.


Published : Nov 21, 2024, 12:09 PM IST
ગીર સોમનાથ : આજથી સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર નજીક વિશાળ ડોમમાં આયોજીત ચિંતન શિબિરમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે સીધી રીતે જોડાયેલા પદાધિકારીઓ સામેલ થશે. ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસના કામો અને આવનારા વર્ષોમાં નવા પ્રોજેક્ટ પર સરકાર અને અધિકારીઓ વચ્ચે સંયુક્ત પણે ચર્ચા થવાની શક્યતા છે.
રાજ્ય સરકારની ચિંતન શિબિર : આજથી સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર શરૂ થવા જઈ રહી છે. સોમનાથ મંદિર પાસે આવેલા વિશાળ જગ્યામાં કે જ્યાં ભૂતકાળમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ નામના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થયું હતું, તે જગ્યા પર વિશાળ વાતાનુકુલિત ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ત્રણ દિવસ સુધી ચિંતન શિબિર યોજાશે.
પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓની બેઠક : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે તેમના મંત્રીમંડળના પ્રધાનો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સાથે સરકાર સાથે સીધી રીતે જોડાયેલા ઉચ્ચ પદાધિકારીઓ ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરમાં હાજર રહીને રાજ્યની વિકાસની યોજનાઓ પર ચર્ચા કરશે. જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સાથે જિલ્લામાં કામ કરતા કલેક્ટર, કમિશનર, પોલીસ અધિક્ષક અને અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.
ચિંતન શિબિરમાં સામેલ થતાં તમામ અધિકારી, પ્રધાનો અને અન્ય પદાધિકારીઓ જાહેર પ્રવાસ માધ્યમથી સામૂહિક રીતે ચિંતન શિબિરમાં પહોંચે તે પ્રકારનું આયોજન થયું હતું. પરંતુ આ આયોજન શક્ય ન બનતા હવે કેટલાક અધિકારીઓ ટ્રેન, બસ કે અન્ય વાહન મારફતે સોમનાથ પહોંચી ગયા છે. સીએમ પટેલ પ્રધાન મંડળના સભ્યોની સાથે કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ બે વિશેષ વિમાન મારફતે કેશોદ અને ત્યાંથી વાહન મારફતે સોમનાથ પહોંચી રહ્યા છે. આ સિવાય સોમનાથ ખાતે હેલીપેડ પણ તૈયાર કરાયું છે, સંભવત સીએમ પટેલ સીધા સોમનાથ આવે તેવી પણ શક્યતા છે.