જુનાગઢ: ગઈકાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે શપથવિધિ પૂર્ણ કરી છે ત્યારે આજે મળેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં ખેડૂતો માટે ખેડૂત કલ્યાણ નિધિની જાહેરાત નવી સરકારમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે જેને ખેડૂતો આવકારી રહ્યા છે.
પી.એમ કિસાન સન્માન નિધિ: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગઈકાલે એનડીએ સરકારનો શપથવિધિ પૂર્ણ થયા બાદ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં પાછલા વર્ષો દરમિયાન ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં હતી, તેને આ સરકારમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવો સર્વાનુમતે નિર્ણય કેન્દ્રીય કેબિનેટમાં કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ ખેડૂત સન્માન નિધિ એનડીએ સરકારમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જેને ખેડૂતો આવકારી રહ્યા છે પરંતુ, સતત મોંઘવારી વધી રહી છે આવા સમયે ખેડૂતો ખેડૂત સન્માન નિધિમાં કોઈ વધારો થાય તેવી માંગ પણ કરી રહ્યા છે.
ત્રીજી વખત કિશાન સન્માન નિધિ: નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા, ત્યાર બાદ આજે સત્તા સંભાળતાની સાથે જ પ્રથમ કામ ખેડૂતોને સહાય મળે તે દિશામાં કર્યું છે. કિસાન સન્માન નિધિ અંતર્ગત મોદીએ ખેડૂતોને મળતી રાહતનો સાતમો હપ્તો આપવાની જાહેરાત કરી છે. જેમાં અંદાજિત 09 કરોડ કરતાં વધુ સમગ્ર દેશના ખેડૂતો સામેલ કરવામાં આવ્યા છે અને જેના માટે કેન્દ્રની સરકાર 20,000 કરોડ રૂપિયાનું ફંડ પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ફાળવી રહ્યું છે.