જૂનાગઢના: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે હરવા ફરવા અને પર્યટન સ્થળો તેમજ જ્યાં ગેમઝોનને લગતી પ્રવૃત્તિઓ થાય છે તેવા તમામ સ્થળોએ તાકીદે શીલ મારીને કે તેને બંધ કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે પાછલા 40 દિવસ કરતાં વધુ સમયથી જૂનાગઢના સ્થાનિક ચકડોળ સંચાલકો પરિવારના ભરણ પોષણ કરવાને લઈને હવે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે મનપા તંત્ર પાસે સંચાલકોએ ચકડોળને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી કરી છે.
![સંચાલકોએ ફરીથી ચકડોળ શરૂ કરી શકાય તેની મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/gj-jnd-02-chakdol-vis-01-byte-01-pkg-7200745_15072024122724_1507f_1721026644_115.jpg)
ચકડોળ સંચાલકો અને પરિવારો મુશ્કેલીમાં: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળો પર ગેમઝોનમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને તેનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી તમામ જગ્યા પર ગેમઝોન અને અન્ય પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢના ભવનાથમાં આવેલા ખુલ્લા મેદાનમાં ચકડોળનું સંચાલન કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા 50 થી વધુ ચકડોળ સંચાલકોને ચિંતા સતાવી રહી છે. પરિણામે આજે તમામ ચકડોળના માલિકોએ જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર પાસે ફરીથી ચકડોળનું સંચાલન કરી શકાય તેની મંજૂરી મળે તે માટે વિનંતી કરી હતી.
![જૂનાગઢના મેદાનમાં આવેલ ચકડોળને પણ સીલ કરવામાં આવ્યા છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/gj-jnd-02-chakdol-vis-01-byte-01-pkg-7200745_15072024122724_1507f_1721026644_1107.jpg)
ભવનાથમાં ખુલ્લી જગ્યામાં ચકડોળ: જુનાગઢના ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના ખુલ્લા મેદાનમાં પાછલા ઘણા વર્ષોથી 50 કરતાં વધુ ચકડોળના સંચાલકો શનિવાર-રવિવારની રજા તેમજ તહેવારો દરમિયાન ચકડોળનું સંચાલન કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. આ જગ્યા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની છે આ જગ્યા ચારે તરફથી કુદરતી રીતે બિલકુલ ખુલ્લી જોવા મળે છે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી આવ જા કરી શકે છે વધુમાં ચગડોળના સંચાલનમાં વીજળીનો ઉપયોગ પણ થતો નથી. મોટાભાગની ચગડોળ હાથ દ્વારા સંચાલિત કરવામાં આવે છે આવી પરિસ્થિતિમાં અહીં આગ લાગવાની શક્યતા એકદમ નહીવત જોવા મળે છે. જેને ધ્યાને રાખીને ચકડોળ સંચાલકોએ ફરીથી ચકડોળ શરૂ કરી શકાય તેની મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી જુનાગઢ કોર્પોરેશનને કરી છે.
![TRP અગ્નિકાંડને પરિણામે જૂનાગઢના ચકડોળ પણ બંધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/gj-jnd-02-chakdol-vis-01-byte-01-pkg-7200745_15072024122724_1507f_1721026644_2.jpg)
![જૂનાગઢના મેદાનમાં આવેલ ચકડોળને પણ સીલ કરવામાં આવ્યા છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/gj-jnd-02-chakdol-vis-01-byte-01-pkg-7200745_15072024122724_1507f_1721026644_1107.jpg)
તહેવારોના દિવસોની શરૂઆત પૂર્વે માંગણી: સ્થાનિક 50 કરતાં વધુ ચકડોળ સંચાલકોએ આગામી તહેવારને ધ્યાને રાખીને પણ મંજૂરી આપવામાં આવે તેવી લાગણીસભર વિનંતી કરી છે. ટંકને જણાવી દઈએ કે, ચતુરમાસથી દેવ દિવાળી સુધીના ચાર મહિના દરમિયાન તહેવારોની વિશેષ વણઝાર આવતી હોય છે. જે હાલ શ્રાવણ માસથી શરૂ થવાની છે. ત્યારબાદ નવરાત્રી અને દિવાળી બાદ દેવ દિવાળીની પરિક્રમા, આ સમય દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ જુનાગઢ અને ભવનાથ આવતા હોય છે. તેથી તહેવારના સમયમાં રોજગારીની એક મોટી તક પણ ઊભી થતી હોય છે. આવા સમયે ચકડોળનું સંચાલન ફરીથી શરૂ કરવાની વિનંતી સાથે માંગણી કરી છે.
![ચકડોળ સંચાલકોની રોજી રોટી શરૂ કરવા તંત્રને આજીજી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2024/gj-jnd-02-chakdol-vis-01-byte-01-pkg-7200745_15072024122724_1507f_1721026644_33.jpg)