ભાવનગર: ગુજરાતમાં દારૂ ઝડપાય તો તેને નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી લઇ બુલડોઝર ફેરવવામાં આવતું હોય છે. પરંતુ તમને એ ખ્યાલ નહિ હોય કે ગાંજો કે પોષ ડોડા પકડાય તો તેનો નાશ કેવી રીતે થાય છે. ભાવનગર એસ.ઓ.જી પોલીસે ઝડપેલા વિવિધ પોલીસ સ્ટેશનના ગાંજો અને પોષ ડોડાનો નાશ કર્યો હતો. ચાલો જાણીએ કઈ રીતે થાય છે નાશ.
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના ગાંજો પોષ ડોડા: ભાવનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ગાંજો અને પોષ ડોડાને કોર્ટની મંજૂરી લઈને એસ.ઓ.જી પોલીસ દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 39.282 કિલોગ્રામ ગાંજો અને પોષ ડોડા 458.994 કિલોગ્રામ નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લઈને વિધિવત રીતે નાશ કર્યો હતો.
કેટલી કિંમતનો ગાંજો અને પોષ ડોડાનો ક્યાં નાશ: ભાવનગર એસઓજી પોલીસે નાર્કોટિક્સ નીચે આવતા 39.282 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 3,92,280 અને પોષ ડોડા 458.994 કિલોગ્રામ જેની કિંમત 13,76,982 થવા જાય છે. આમ કુલ 17,69,802 ના ગાંજો અને પોષ ડોડાનો નાશ વિધિવત રીતે કોર્ટમાંથી મંજૂરી મેળવી ભરૂચના અંકલેશ્વર ખાતેની એક કંપનીમાં નાશ કર્યો હતો.
નાશ કઈ રીતે કરવામાં આવે ગાંજો પોષ ડોડાનો: ભાવનગર એસ.ઓ.જીના પીઆઇ ડી યુ સુનેસરાએ જણાવ્યું હતું કે, એનડીપીએસના કેસ દાખલ થયા પછી એ મુદ્દા માલ કોર્ટમાં જાય છે, ત્યારબાદ કોર્ટ દ્વારા જે તે સેમ્પલિંગ કરી તે મુદ્દામાલના સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવે છે. એફએસએલમાંથી અભિપ્રાય આવી ગયા પછી મુદ્દામાલના નાશ માટે કોર્ટમાંથી પરમિશન મેળવવી પડે છે.
વિડીયો રેકોર્ડિંગ સરકારી પંચોની હાજરીમાં: પરમિશન મળી ગયા પછી એક કમિટી બેસે છે. જેમાં ડીએસપી, ડીવાયએસપી, LCB અને SOG પીઆઇ હોય છે. ડીએસપી સાહેબની સૂચનાથી પરમિશન મળતા મુદ્દામાલને જે તે પોલીસ સ્ટેશન પાસેથી મંગાવવામાં આવે છે, ત્યારબાદ નાશ કરનારી એજન્સીનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, જે તે બિલની ચુકવણી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરેલા દિવસે તમામ મુદ્દામાલ પોલીસ સ્ટેશનથી મંગાવીને એસ.ઓ.જી ઓફિસ લાવવામાં આવે છે. સરકારી પંચોની હાજરીમાં તમામ મુદ્દામાલને ભરૂચ અંકલેશ્વર લઈ જવામાં આવે છે. બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની ખાતે મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે. સમગ્ર મુદ્દામાલને ભઠ્ઠીમાં સળગાવવામાં આવે છે અને તમામ પ્રક્રિયાનો વિડીયો રેકોર્ડિંગ સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવે છે.
આ પણ વાંચો: