નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ સ્કેમ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા EDના સમન્સની સતત અવગણના કરવા આવી છે. તેથી EDએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પર આજે એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રા સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 7મી ફેબ્રુઆરી તારીખ નક્કી કરી છે.
આજે શનિવારે સુનાવણી દરમિયાન એએસજી એસવી રાજુ અને ઝોહેબ હુસૈન EDના ડેપ્યુટી ડાયરેક્ટર ભાનુપ્રિયા, ED આસિસ્ટન્ટ ડાયરેક્ટર જોગેન્દ્ર, ED આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંદીપ કુમાર શર્મા ઇડી વતી હાજર થયા હતા. તેમણે કહ્યું કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 50 હેઠળ EDએ અરવિંદ કેજરીવાલને 5 વખત સમન્સ પાઠવ્યા છે. પરંતુ પાંચેય વખત કેજરીવાલે સમન્સની અવગણના કરી અને ED સમક્ષ હાજર ન થયા. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ ED તરફથી આંશિક દલીલો સાંભળી અને આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ કરવાનો આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દિલ્હી એક્સાઈઝ સ્કેમ કેસમાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. EDએ 4 ઓક્ટોબરે સંજય સિંહની તેમના સત્તાવાર નિવાસસ્થાને પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ 2023ના રોજ આ મામલામાં પૂછપરછ બાદ તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાની અગાઉ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સંજય સિંહની જામીન અરજી રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે, ત્યારબાદ તેણે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પણ ફગાવી દીધી છે.