ગુજરાત

gujarat

સુરતની ખટોદરા જીઆઈડીસીમાં પ્રોસેસિંગ મીલના મશીનમાં બ્લાસ્ટ, એક કારીગરનું મોત - Industrial Accident

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 4:29 PM IST

ખટોદરા જીઆઈડીસીના પંચશીલનગરમાં આવેલી મનહર પ્રોસેસિંગ મીલમાં ગઈકાલે મધ્ય રાત્રીના વાગ્યાના સુમારે સાડી પર કલર કરવાના મશીનમાં અચાનક બ્લાસ્ટ થતા અકસ્માત સર્જાયો હતો. મિલમાં કામ કરી રહેલા એક કારીગરનું મોત થયું હતું. જ્યારે ત્રણ કારીગરો દાઝયા હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરતની ખટોદરા જીઆઈડીસીમાં પ્રોસેસિંગ મીલના મશીનમાં બ્લાસ્ટ, એક કારીગરનું મોત
સુરતની ખટોદરા જીઆઈડીસીમાં પ્રોસેસિંગ મીલના મશીનમાં બ્લાસ્ટ, એક કારીગરનું મોત

સુરત :આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ખટોદરા જીઆઈડીસીમાં પંચશીલનગર પાસે આવેલી મનહર પ્રોસેસિંગ મીલમાં શનિવારે મોડી રાતે સુમારે બ્લાસ્ટ થયો હતો. જેને પગલે કામ કરી રહેલા કારીગરોમાં દોડધામ મચી ગઈ હતી. ખટોદરા જીઆઈડીસીમાં પ્રોસેસિંગ મીલમાં સાડીમાં કલર માટેના બોઈલરમાં બ્લાસ્ટ થતા આગની ઘટના બની હતી. મજુરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી માનદરવાજા સહિતના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો અને કેમિકલ ફોમનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

કારીગરનું મોત :ફાયર વિભાગના અધિકારી વસંત પારેખે જણાવ્યું હતું કે,આ ઘટનામાં કારીગર વિદ્યા ભગત વીરા ભગત જે બોઈલર ઓપરેટર છે. તે ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે તેનું મોત થઈ ગયું હોવાનું જણાયું હતું. જ્યારે કામ કરી રહેલા રાજેશ રામપ્રસાદ શાહુ, દિપુ રોહી બાવરી અને લક્ષ્મણપ્રસાદ રામલક્ષ્મણ પ્રસાદ આગમાં દાઝી ગયા હતા, જેથી ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

વળતરની માંગણી : વધુમાં મનહર મીલના માલિકા પાસે મૃતકના સાથી કામદાર અને પરીવારજનો દ્વારા વળતરની માંગણી કરવામાં આવી હતી. જ્યાં સુધી માંગણી નહી સંતોષાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ નહીં કરવાનું નક્કી કર્યું હતું. આખરે પોલીસની મધ્યસ્થી બાદ માંગણી સંતોષવામાં આવી હતી. ત્યારબાદ મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

મૃતક વિદ્યા ભગતની દીકરીના લગ્ન નિર્ધારિત હતા :પાંડેસરાના ગણેશનગરમાં રહેતા વિદ્યા ભગત વીરા ભગત મનહર મીલમાં કામ કરી વતન બિહારમાં રહેતી પત્ની તથા એક પુત્ર અને બે પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. દરમિયાન બે પુત્રી પૈકી મોટી પુત્રના લગ્ન થોડા દિવસમાં જ થવાના હતા. જે અંતર્ગત વિદ્યા રવિવારે વતન જવા નીકળવાના હતાં. પરંતુ તે પહેલાં જ તેનું મોત થતા પરીવારમાં લગ્નપ્રસંગનો માહોલ શોકમાં ફેરવાયો હતો.

  1. તાતીથૈયાની સમ્રાટ મિલમાં કામદારોના મોત મામલે માલિક અને મેનેજર સામે બેદરકારીનો ગુનો નોંધાયો - Industrial Accident
  2. Industrial Accident : ફર્નેશમાંથી પીગળેલું મેટલ ઉડતા બે મજૂરના જીવ લીધાં, ભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રણ સારવારમાં

ABOUT THE AUTHOR

...view details