ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 12, 2024, 8:14 PM IST

Updated : Jun 12, 2024, 9:16 PM IST

ETV Bharat / state

શા માટે જૂનાગઢથી દલિતોએ ગોંડલ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું? જાણો સમગ્ર ઘટના.. - Junagadh Gondal Dalit Case

ગોંડલના ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ પોલીસ ચોપડે નોંધાવનાર સંજય સોલંકીને મારી નાખવાની ધમકી આપી અને પીડિત યુવકના નગ્ન વિડીયો બનાવવાના કિસ્સામાં જૂનાગઢના દલિત સમાજના યુવકો સંજયને ન્યાય અપાવવા જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી ગયા. Junagadh- Gondal Dalit Case

દલિત સમાજના યુવક સંજયને ન્યાય અપાવવા જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી ગયા
દલિત સમાજના યુવક સંજયને ન્યાય અપાવવા જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી ગયા (Etv Bharat)

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

હૈદરાબાદ: ગોંડલના ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ પોલીસ ચોપડે નોંધાવનાર સંજય સોલંકીને મારી નાખવાની ધમકી આપી અને પીડિત યુવકના નગ્ન વિડીયો બનાવવાના કિસ્સામાં જૂનાગઢના દલિત સમાજના યુવક સંજયને ન્યાય અપાવવા જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી ગયા. આ ઘટનામાં ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા સજ્જડ બંધ પાળીને ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પૂત્રનું સમર્થન કરવામાં આવ્યાના અહેવાલો છે.

આ કિસ્સામાં છેલ્લા 13 દિવસમાં શું શું ઘટનાક્રમ હતો?: તારીખ 30 મી મે 2024 ના રોજ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંજય સોલંકી નામના યુવકની ફરિયાદ નોંધાય છે. ફરિયાદની વિગતો અનુસાર જુનાગઢ ડીવાયએસપીએ મીડિયાને આપેલી વિગતોમાં ફરિયાદી યુવક સાથે બાઇક અથડાવવાની ઘટના બની હતી એ સંદર્ભે ગોંડલના ધારાસભ્યના પૂત્ર ગણેશ જાડેજા સાથે બોલાચાલીની ઘટના બની હતી.

દલિત સમાજના યુવક સંજયને ન્યાય અપાવવા જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી ગયા (etv bhart gujarat)

31 મે, 2024ના રોજ વહેલી સવારના 3 વાગ્યાના સુમારે સંજયને ગણેશ જાડેજા અને તેમના સાગરિતોએ પહેલા તેના ઘરમાં જ ખૂબ માર મારી અને અપહરણ કરી લીધા હતા. એ પછી ગણેશ જાડેજા અને તેમના સાથીઓ સંજયને ગોંડલની નજીકમાં એક ખેતરમાં લઈ ગયા અને ત્યાં તેમને ફરીવાર માર મારીને નગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લીધો. આ ઉપરાંત સંજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ: આ ઘટનાને પગલે ડરી ગયેલા સંજયે તેની જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાયદમાં જણાવ્યું હતું કે, તેમને તેમની જ્ઞાતિ મુદ્દે હડધૂત કરવામાં આવ્યા હતા. આ માર મારવાના કિસ્સામાં ફરિયાદને પગલે ગણેશ જાડેજાની સાથેના 10 આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી.

એસસીએસટી સેલના ડીવાયએસપી જે. કે. ઝાલાના જણાવ્યા અનુસાર: આ અપહરણના કેસમાં એસસીએસટી સેલના ડીવાયએસપી જે. કે. ઝાલાએ આપેલા મીડિયા નિવેદન અનુસાર "આ ગુનો આચરવા આરોપીઓ નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડી લઈને આવ્યા હતા. 30 અને 31 મેના મધ્યરાત્રી અને વહેલી સવારે જુનાગઢના કાળવા ચોક વિસ્તારમાં સંજય સોલંકી નામના યુવાન પર કાર ચલાવવા જેવી સામાન્ય બાબતે કાળવા ચોકમાં માથાકૂટ થઈ હતી. આ સમગ્ર બનાવ મધરાતે 3 વાગ્યાની આસપાસ અપહરણમાં બદલાયો હતો. સંજય સોલંકીનું અપહરણ કરીને કેટલાક લોકો તેને ગોંડલ તરફ લઈ જઈને નગ્ન અવસ્થામાં માર મારીને જૂનાગઢની ભેંસાણ ચોકડી તરફ ફેંકી ગયા હતા. પીડિત સંજય સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા, તેમાં મુખ્ય આરોપી તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સોલંકીના પુત્ર ગણેશ સોલંકીનું નામ બહાર આવ્યું હતું."

એસસીએસટી સેલના ડીવાયએસપી જે. કે. ઝાલાએ જણાવ્યા અનુસાર, "પીડિત સંજય સોલંકીએ ગણેશ જયરાજસિંહ જાડેજાનું નામ લખાવ્યું છે. આ ફરિયાદમાં અજાણ્યા 8થી 10 વ્યક્તિઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હાલ પોલીસની પકડમાં આવેલા અતુલ કઠેરીયા, ફૈઝલ પરમાર અને ઈકબાલ ગોગદા અને બીજા ઇસમો દ્વારા રાત્રિના સમયે ફરિયાદીનું અપહરણ કરીને તેને માર મારવામાં આવ્યો હતો."

ત્રણ આરોપીઓને ખાસ જસદણથી બોલાવ્યા: એસસીએસટી સેલના ડીવાયએસપી જે. કે. ઝાલાએ જણાવ્યા અનુસાર, "આ ત્રણેય લોકો શામેલ હોવાની વિગતો મળી આવતા જૂનાગઢ પોલીસે આ ત્રણેય ઈસમોની રાજકોટના જસદણ ખાતેથી અટકાયત કરી છે. રાત્રિના સમયે જ્યારે સંજય સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે માથાકૂટ થઈ ત્યારબાદ ગણેશ સોલંકીના કેટલાક ટેકેદારો દ્વારા આ ત્રણેય વ્યક્તિને ખાસ જસદણથી બોલાવાયા હતા અને ફરિયાદીના અપહરણમાં તેઓ સામેલ હતા તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે."

આ કિસ્સામાં મુખ્ય આરોપી ગણેશ જાડેજાને પોલીસ ચોપડે ફરાર આરોપી દર્શાવવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા મુખ્ય આરોપીને પકડવા માટે ગોંડલ પોલીસને પણ સતર્ક રહેવા સૂચના આપીને ગોંડલ પોલીસની પણ મદદ લીધી હતી.

જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ગણેશ જાડેજાના રહેવાની સંભવિત જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ 4 મે, 2024ના રોજ, જસદણથી ત્રણ આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને 5 મે , 2024 ના રોજ મુખ્ય આરોપી ગણેશ જાડેજા સહિત અન્ય સાત આરોપીની જૂનાગઢ પોલીસે અટકાયત કરી હતી.

આ ઘટનામાં જૂનાગઢના દલિત સમાજના યુવક સંજયને ન્યાય અપાવવા 12 જૂન, 2024 ના રોજ એટલે કે આજે જૂનાગઢથી બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી જવાનો નિર્ણય કર્યો છે. જેમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, "કદાચ મારા પર 100 ગુના કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરી તેને મારવાનો? ત્યારે જયરાજસિંહ ક્યાં દૂધે ધોયેલો છે? તેમને પીએસઆઇ પર ફાયરિંગ કરેલું છે. જયરાજસિંહ પણ હાલ મર્ડર કેસમાં જામીન પર છે".

આજે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્સફરન્સનું આયોજન કર્યું હતું. જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "રેલી અને સભામાં આ રીતે બોલતું હોય છે. તેનાથી એના લેવલ અને મારા લેવલમાં ઘણો બધો તફાવત પડે છે અને મને લાગતું નથી કે આવા લોકોને મારે જવાબ દેવો જોઈએ, તેનો ગોંડલની જનતા જવાબ દેશે. તેમજ આ સમગ્ર ઘટના અંગે તેમણે જણાવ્યું કે, જે ઘટના ઘટી એ ફક્ત આકસ્મિક છે. ન્યાય તંત્ર જે કંઈ નિર્ણય કરશે તેના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે".

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

અનુસૂચિત જાતિના અંદાજે એક હજાર જેટલા લોકો આજે બાઈક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે. જૂનાગઢ ઉપરાંત જેતપુર,ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાયા છે. મહાસંમેલનમાં અનુસૂચિત જાતિ સમાજે સરકાર સમક્ષ 4 માગ મૂકી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કલમ 120B ઉમેરવામાં આવે. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે. સરકાર આ કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવી 6 મહિનામાં કેસનો નિકાલ કરે તેવી માગ કરાઈ છે. તમામ આરોપીઓ સામે ગુજસી ટોકની કલમ લાગુ કરવામાં આવે તેવી ખાસ માંગ કરી છે.

  1. દલિત યુવાન પર થયેલા હુમલાના વિરોધમાં, દલિત સમાજે જુનાગઢ થી ગોંડલ સુધી રેલીનું કર્યું પ્રસ્થાન - Rally of Dalit Samaj from Junagadh
  2. ધોરાજી દલિત સમાજના આગેવાનો સૂત્રોચ્ચાર સાથે, બાઈક રેલી યોજી ગોંડલ સંમેલનમાં થયા રવાના - Bike rally of Dhoraji Dalit Samaj
Last Updated : Jun 12, 2024, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details