ગુજરાત

gujarat

રાજકોટમાં વધતો રોગચાળો, સપ્તાહમાં ડેંગ્યુનાં વધુ 19 કેસ, મેલેરિયાનો અને ચિકનગુનિયાનાં 1-1 સહિત કુલ 1868 કેસ નોંધાયા - Rajkot epidemic after rain

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2024, 7:44 PM IST

રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યા પછી ઠેરઠેર રોગચાળો પણ એટલી જ મોટી ચિંતા લઈને આવ્યો છે. સતત છેલ્લા એક જ સપ્તાહમાં 1800 થી વધારે કેસ વિવિધ રોગોના જોવા મળ્યા છે. આવો જોઈએ વધુ વિગતો... - Rajkot epidemic after rain

રાજકોટ વધતો રોગચાળો
રાજકોટ વધતો રોગચાળો (Etv Bharat Gujarat)

રાજકોટમાં વધતો રોગચાળો (Etv Bharat Gujarat)

રાજકોટ:જીલ્લામાં છેલ્લા દિવસોમાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના 1868 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુનાં સતત બીજા સપ્તાહમાં વધુ 19 કેસ નોંધાયા છે. એટલું જ નહીં મેલેરિયા 1 અને ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે. તો શરદી- ઉધરસનાં સૌથી વધુ 1034 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. તેમજ ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો ઘણો વધવાની શક્યતાઓ છે.

વિવિધ રોગોના 1868 કેસ એક સપ્તાહ દરમ્યાન નોંધાયા

વરસાદી સિઝનમાં રોગચાળો વકરવાનો ભય રહેતો હોય છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે અને કેસબારી પર દર્દીઓની લાઈન જોવા મળી રહી છે. મનપા (મહાનગર પાલિકા)ના ચોપડે વિવિધ રોગોના ગત સપ્તાહ દરમિયાન 1868 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં ગત સપ્તાહનાં 940 કેસ સામે આ સપ્તાહે 1034 કેસ, ઝાડા-ઉલટીનાં 245 સામે 220 કેસ અને સામાન્ય તાવના પણ 588 સામે 585 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 19 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 8 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

  • વર્ષ 2024માં નોંધાયેલા વિવિધ રોગોનાં કુલ કેસ
  • મેલેરીયા 17 કેસ
  • ડેંગ્યુ 90 કેસ
  • ચીકનગુનીયા 18 કેસ
  • શરદી-ઉધરસ 32,794 કેસ
  • સામાન્ય તાવ 11,338 કેસ
  • ઝાડા-ઉલ્ટી 9,083 કેસ
  • ટાઇફોઇડ 57 કેસ
  • કમળો તાવ 3 કેસ
  • મરડો 1 કેસ
  • કોલેરા 3 કેસ

બહારનો ખોરાક ના લેવા તંત્રની અપીલ

"હાલ વરસાદી માહોલ હોવાને લઇ ભેજવાળું વાતાવરણ હોવાથી હાલ વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે." - ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોકટર લલિત વાઝા

માસ્કનો ઉપયોગ કરવા અપીલ

પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર હોય તો અન્ય તેની સાથે અન્ય લોકો માસ્કનો ઉપયોગ કરે તે જરૂરી છે. જોકે રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રયાસો શરૂ કરાયા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 19 ઓગષ્ટથી તા. 25 ઓગષ્ટ વચ્ચે 1,01,458 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. અને 3,965 ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 367 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 288 તો કોર્મશીયલમાં કુલ 104 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 47,800 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. છતાં લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે.

  1. ભારે વરસાદથી ડેમચા તળાવ ઓવરફ્લો, 531 વ્યક્તિઓનું રેસ્કયુ, જાણો ખેડાની વરસાદ બાદની સ્થિતિ... - Demcha lake overflowed
  2. સરખેજ ભારતી આશ્રમ પર ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ ભારતીએ કબજો મેળવ્યો - Junagadh Bharati Ashram controversy

ABOUT THE AUTHOR

...view details