લાલપુરના બાંધણી કેન્દ્રની મુલાકાતે નીતા અંબાણી જામનગર :ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીએ લાલપુર બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. ઉપરાંત બાદમાં તેમણે મહિલાઓ સાથે વાતચીત કરી તેમની કલાને વખાણી હતી. નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રમાં કાર્યરત ત્રણ મહિલાઓના ઘરની મુલાકાત પણ કરી હતી.
લાલપુરમાં નીતા અંબાણી : જામનગરના લાલપુર તાલુકામાં કાર્યરત બાંધણી કેન્દ્ર સાથે 400 જેટલી સ્થાનિક મહિલાઓ સંકળાયેલી છે. આ તમામ મહિલાઓ પોતાના ઘરકામ સહિત બાંધણીનું કામ કરી રોજગારી મેળવી રહી છે. આ મહિલાઓને પ્રોત્સાહન મળે તે માટે નીતા અંબાણીએ બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી અને નિખાલસપણે મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી.
બાંધણી કેન્દ્રની મુલાકાત કરી : નોંધનીય છે કે, આગામી દિવસોમાં નીતા અંબાણીના પુત્રના લગ્ન છે. ત્યારે તેઓ લગ્નમાં મહેમાનોને બાંધણી ભેટમાં આપવાના હોવાથી લાલપુર બાંધણી કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. નીતા અંબાણીએ અહીં મહિલાઓ સાથે ગુજરાતીમાં વાતચીત કર્યા બાદ બે-ત્રણ મહિલાઓના ઘરની પણ મુલાકાત કરી હતી. એક બાજુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિના પત્ની નાના એવા ગામમાં પહોંચ્યા ત્યારે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
જામનગરની પ્રસિદ્ધ બાંધણી : નીતા અંબાણીએ લાલપુરમાં મહિલાઓ સાથે ગુજરાતીમાં કેમ છો અને જય શ્રીકૃષ્ણ કહી વાતચીત કરી હતી. તેઓએ બાંધણી કેન્દ્રમાં કામ કરતી મહિલાઓના ઘરે જઈ તેમના પરિવાર વિશે પણ પૂછ્યું હતું. ઉપરાંત પોતાના દીકરાના લગ્નમાં મહેમાનોને બાંધણી ભેટમાં આપવા માટે વાતચીત કરી હતી. જામનગરનું નામ સમગ્ર વિશ્વમાં બાંધણીના હિસાબે પ્રખ્યાત છે. તેમાંય નીતા અંબાણી તો બાંધણીના શોખીન છે, તથા તેમની પુત્રવધુ પણ હમેશા બાંધણીની સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે.
- Poonam Madam : સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત પૂનમ માડમ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું
- જામનગરની પ્રખ્યાત બાંધણીની દેશ વિદેશમાં જબરી માગ, શું છે ખાસિયત બાંધણીની આવો જાણીએ