જામનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં અત્યંત વ્યસ્ત છે. ભાજપના પરિમલ નથવાણી પણ જામનગર મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે ETV BHARATએ કરી છે એકઝક્લુઝિવ વાતચીત.
પૂનમ માડમ સંમેલનમાં હાજરઃમંગળવારે ઓશવાળ સેન્ટર ખાતે લોહાણા જ્ઞાતિનાં યોજાયેલા સંમેલનમાં હાજર રહેવા આવેલા પરિમલ નથવાણીએ સવારે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરતા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોમાં ફાટી નીકળેલા જુવાળનાં સંદર્ભે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ગતિવિધિઓ મુદ્દે આ વ્યથા રજૂ કરી હતી. આ સંમેલનમાં એકાદ હજારથી પણ વધુ લોહાણા સમાજના હાલાર પ્રદેશના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પૂનમ માડમે પણ સમ્મેલન અને ભોજન સમારંભમાં હાજરી આપી હતી.
ETV BHARAT: આ વખતની જામનગરમાં ચૂંટણીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો?
પરિમલ નથવાણી : અત્યાર સુધી મેં જોયેલી વિધાનસભા તેમજ લોકસભાની અનેકો-અનેક ચૂંટણીઓથી આ ચૂંટણી અલગ છે. આવું વાતાવરણ આપણે કોઈ દિવસ જામનગરમાં જોયું ન હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પ્રચારને લઈને હું થોડો ચિંતિત છું કારણ કે નેતાઓ કે એવા અસરકારક લોકો અન્ય તત્વોને તોફાન માટે પ્રેરી નથી રહ્યા જેટલા આ ટપોરી તત્વો લોકોને તોફાનો માટે ઉશ્કેરી રહ્યા છે. જામનગરમાં આજ દિવસ સુધી ચૂંટણીઓ હંમેશા શાંતિપૂર્ણ રીતે થઈ છે. ક્ષત્રિય સમાજનાં પ્રશ્નોને લઈને તેમનાં નેતાઓ બોલે એ સમજી શકાય, પણ અત્યારે જ્યારે પૂનમ માડમની સભાઓ થાય છે તેમાં જે પ્રકારનાં તોફાનો જોવા મળ્યા છે તેવા તોફાનો કોઈ દિવસ જોયા નથી. પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે તે અયોગ્ય છે અને બહુ શરમજનક બાબત છે.
ETV BHARAT: આવા તત્વો સામે કોઈ સાયબર ફરિયાદ કે એક ટેલિકોમ કંપની તરીકે કોઈ પગલાં લેવાનાં છો?
પરિમલ નથવાણી :આ બાબતે શું ચાલી રહ્યું છે એ મને ખબર નથી પણ પોલીસનું સાયબર સેલ આ બધી ગતિવિધિઓ પર નજર રાખીને બેઠું છે. આવા વિડીયોઝનો એ લોકો તલસ્પર્શી રીતે અભ્યાસ કરી રહ્યા છે. એ દિશામાં પોલીસ તરફથી જે થવું જોઈએ એ થઈ જ રહ્યું છે. આ બધું તો 7 તારીખ સુધી જ છે. ત્યારબાદ તો બધા એક સાથે હળીમળીને બેસેલા જોવા મળશે.
ETV BHARAT: ગુજરાત-ભારતમાં ઘણા કોર્પોરેટ લીડર્સ છે પણ કોઈ આપની જેમ ખુલીને રાજનૈતિક સમર્થન નથી કરતું, આનું કારણ શું?
પરિમલ નથવાણી : એનું કારણ છે હું આ વિસ્તારનો છું. મૂળ રીતે જામ-ખંભાળીયાનો છું. મેં ઘણા સમાજસેવી કાર્યો કર્યા છે. જ્યારે સરકાર કોંગ્રેસની હતી, હું સાંસદ પણ ન હતો અને રીલાયન્સ સાથે પણ ન્હોતો જોડાયો એટલે સમાજસેવાને કારણે રાજકારણ સાથે મારે સીધો કે આડકતરો સંબંધ રહ્યો છે. તેથી હું ખુલીને કોઈપણ મુદ્દાને સમર્થન આપું છું.