ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકોના જીવ બચાવનાર 108 એમ્બ્યુલન્સની કર્મચારીએ ઊંઘની ગોળી પીને આત્મહત્યાની કોશિશ કેમ કરી? - SUICIDE ATTEMPT CASE

વલસાડના પારડીમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. મહિલા પાસેથી પોલીસને સુસાઈડ પણ નોટ મળી છે.

108 એમ્બ્યુલન્સના કર્મચારીનો આત્મહત્યાનો પ્રયાસ
108 એમ્બ્યુલન્સના કર્મચારીનો આત્મહત્યાનો પ્રયાસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2025, 1:38 PM IST

Updated : Feb 6, 2025, 4:41 PM IST

વલસાડ:108 એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીએ ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં મહિલાને એમ્બ્યુલન્સમાં જ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. જોકે, આ સાથે પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર અને ઇએમઇ (EME) ના ત્રાસથી મહિલા કર્મચારીએ ચાલુ ફરજ દરમિયાન ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ફરજ પર જ કર્યો આત્મહત્યાનો પ્રયાસ :પારડી શહેરમાં 108 એમ્બ્યુલન્સમાં ઇએમટી (EMT) તરીકે માનસી પટેલ છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવે છે. આજરોજ પોતાની ફરજ દરમિયાન માનસી પટેલે ઊંઘની ગોળી પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે (EMT) માનસી પટેલને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

સુસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ:પોલીસ રિપોર્ટ અનુસાર, માનસી પટેલ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખ્યું હતું કે, '108 ના પ્રોગ્રામ મેનેજર અને EME દ્વારા બદલી કરવામાં આવે છે અને માનસિક ત્રાસ પણ આપે છે. EMT માનસી પટેલની અગાઉ વલસાડથી પારડી બદલી કરવામાં આવી હતી. જે બાદ કેટલાક એમ્બ્યુલન્સ ચાલકોએ કરેલી 108 માં ફરિયાદના પગલે તેની પારડીથી વાપી બદલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માનસી પટેલના અનુસાર ખોટી રીતે બદલી કરવામાં આવતી હોવાથી તે માનસિક તાણમાં આવી જતાં તેને આ પગલું ભર્યું છે.

લોકોનો જીવ બચાવનાર કેમ આત્મહત્યા કરવા પ્રેરાઈ : માનસી પટેલ છેલ્લા દસ વર્ષથી 108 એમ્બ્યુલન્સ ઉપર ફરજ બજાવે છે. અત્યાર સુધીમાં માનસી પટેલે અનેક લોકોના જીવ બચાવ્યા છે, તો અનેક મહિલાઓને પ્રસુતિ માટે હોસ્પિટલ સુધી પહોંચતી કરી છે. ક્રિટિકલ પરિસ્થિતિમાં પણ મહિલાઓને હેમખેમ હોસ્પિટલ સુધી પહોંચાડી તેમનો જીવ બચાવ્યો છે. પોતે માનસી પટેલે ઊંઘની ગોળીઓ ફરજ ઉપર પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા લોકોના જીવ બચાવનાર EMT કેમ આવું પગલું ભર્યું તે અંગે પણ ચર્ચા ઉઠી છે.

પોલીસ તપાસમાં થયા ખુલાસા : પારડી પોલીસ મથકના PI બી. આર. ગઢવીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, માનસી પટેલની અગાઉ વલસાડથી પારડી બદલી થઈ હતી અને ફરીથી પારડીથી અન્ય જગ્યાએ બદલી થવાની અટકળો ચાલી રહી હતી, જેને લઈને માનસિક તાણમાં આવી તેને ઊંઘની ગોળી પી લીધી હોવાનું જણાવ્યું છે. હાલ તો પોલીસે તેમનું નિવેદન લઈ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો:

  1. જામનગર ટ્રીપલ અકસ્માત: કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અથડામણ, બે યુવકોએ ઘટનાસ્થળે દમ તોડ્યો
  2. સુરતમાં 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું: 16 કલાક પછી પણ લાપતા, રેસ્ક્યુ ઓપરેશન બન્યું મુશ્કેલ
Last Updated : Feb 6, 2025, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details