સાબરકાંઠા :ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી પ્રચારની તૈયારીમાં લાગ્યા છે તથા જીતના દાવા રજૂ કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર :ચૂંટણી પંચની જાહેરાત અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા સહિત તમામ જિલ્લાઓની 66 જેટલી નગરપાલિકામાં આગામી 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. તેમજ 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મોટાભાગની નગરપાલિકા ભાજપ શાસિત છે. ફરી ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ જીતના દાવા રજૂ કર્યા છે.
સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકા:સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પ્રાંતિજ સહિત તલોદ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરાઈ છે. આ ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડ માટે ફોર્મ ભરાશે. આ 7 વોર્ડના 17,962 જેટલા મતદાતાઓને રીઝવવા માટે તમામ પક્ષોએ તૈયારીઓ હાથ ધરી છે.
શાસન અકબંધ રાખવા ભાજપનો પ્રયાસ :સાબરકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓ આગામી સમયમાં પણ અકબંધ રહે તે માટે ભાજપ અત્યારથી જ પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ તેમજ આ વખતે ફરી એકવાર ભાજપ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વિજેતા બનશે તેવો આશાવાદ સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો છે.