સુરત:જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટની પાસે આવેલી કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કર્યાનો આરોપ છે. જેના લીધે સમગ્ર કેમ્પસમાં આવેલા દર્દીઓના સગાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં બેસાડવામાં આવેલા ગણેશ વિસર્જન દરમિયાન થઈ હતી.
અસામાજિક તત્વો પર કેન્ટીનમાં તોડફોડ કર્યાનો આરોપ: પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે નવી સિવિલ હોસ્પિટલના અલગ-અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. ગતરોજ વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. જો કે બાદમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા હોસ્પિટલના મુખ્ય ગેટના કેન્ટીન પાસે આવી માલિક જોડે કોઈ વાતે બોલાચાલી કરી હતી. અસામાજિક તત્વો દ્વારા કેન્ટીનમાં તોડફોડ કરાયાનો આરોપ છે. જે મામલો બહાર આવતા જ નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીનો સ્ટાફ દોડી આવ્યો હતો. જોકે પોલીસના આવવાની જાણ થતા અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે આ અસામાજિક તત્વો હોસ્પિટલનું નર્સિંગ સ્ટાફ હતો એવી વાતો સામે આવી રહી છે.
કેન્ટીન માલિકે કહ્યું સ્ટાફનો કોઇ માણસ નહોતો:આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સાઉથ ગુજરાતના નર્સિંગ એસોસિએશનના પ્રમુખ કઢીવાળા જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે નવી સિવિલ હોસ્પિટલના અલગ-અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. જોકે સાંજે આ પ્રકારની ઘટના બની હતી જેની જાણ મને થઈ હતી અને મેં કેન્ટિનના માલિક હરિરામને ફોન કરીને તમામ વિગતો મેળવી હતી. તેણે જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યે આસપાસ મારી તોડફોડ કરનાર યુવક સાથે માથાકૂટ થઇ હતી. અને એમાં આપણા હોસ્પિટલનો સ્ટાફ કોઈ હતું નહીં. અને પોલીસ પણ આવી હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.
તોડફોડના લીધે દર્દીઓમાં ભાગદોડ મચી: આ બાબતે કેન્ટીન માલિક હરીરામે જણાવ્યું કે, મારી કેન્ટીનમાં તોડફોડ કરનાર યુવક જોડે માથાકૂટ થઈ હતી કારણ કે, તે યુવકે મારા કેન્ટીનના કારીગર સાથે બોલાચાલી કરી હતી. બાદમાં મેં તે યુવક નશાની હાલતમાં જોયો હતો. જેથી તેને અહીંથી જતા રહેવાનું સૂચન કર્યું હતું. પરંતુ તે યુવક દ્વારા દુકાનમાં પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કચરાપેટી ઉંચકીને પણ ફેંકી હતી. આ યુવકોની ધમાલના કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. જ્યાં હાજર અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ચોકી પરના પોલીસ સ્ટાફ તે સાથે મેઇન ગેટ ઉપર ઉભેલા ગણેશ વિસર્જન બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓ પણ આવી ચૂક્યા હતા.
આ પણ જાણો:
- હરણી બોટકાંડના સાક્ષી બનેલા વડોદરાના નેતાઓ તરાપામાં સેફટી વગર ગણેશ વિસર્જન કરતા કેમેરામાં કેદ - Negligence of leaders
- રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, "2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે"- ઉપરાષ્ટ્રપતિ - Renewable Energy Summit