ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે મહાકુંભ માટે રાજકોટ, વડોદરા અને સુરતથી પણ દોડશે વોલ્વો બસ, જાણો ટિકિટના ભાવ અને બુકિંગ પ્રોસેસ - GSRTC MAHAKUMBH BUS

મહાકુંભમાં જવા ઈચ્છતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે વધુ 5 બસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મહાકુંભ માટે એસ.ટી નવી બસો દોડાવશે
મહાકુંભ માટે એસ.ટી નવી બસો દોડાવશે (X/@sanghaviharsh and @Bhupendrapbjp)

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 5:58 PM IST

અમદાવાદ:પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. કરોડોની સંખ્યામાં અત્યાર સુધી ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી ચૂક્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો સંગમમાં ડુબકી લગાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે વધુ નવી બસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. GSRTCની વધુ પાંચ બસો દોડાવવામાં આવશે, જે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લઈ જશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.

મહાકુંભ માટે STની 5 નવી બસો શરૂ થશે

હર્ષ સંઘવીએ X પર લખ્યું કે, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે.

  • તા. 04/02/2025થી નવી ૫ બસો (અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે.
  • સુરત તથા રાજકોટ ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) ખાતે કરવામા આવશે.
  • અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવશે.
  • શરુ થનાર નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
  • પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યા છે.
  • આ નવી બસનું ઓનલાઇન બુકિંગ 2 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

પ્રયાગરાજ માટે GSRTC વોલ્વો બસનું પેકેજ બુક કરાવવા યાત્રાળુઓ માટે ધ્યાન રાખવાની ખાસ અગત્યની બાબતો

  1. બસનું ઓનલાઇન બુકિંગ 2 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ. યાત્રાળુઓ નિગમની વેબસાઈટ http://gsrtc.in તેમજ કોઈ પણ બસ સ્ટેન્ડ ઉપરથી એડવાન્સ બુકિંગ કરાવી શકશે.
  2. બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી બુકિંગના કિસ્સામાં 1% બુકિંગ ચાર્જ લાગશે.
  3. મહત્તમ યાત્રાળુઓ આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે એક લોગિન ID પરથી/ એક વ્યક્તિ દ્વારા મહત્તમ 4 સીટ બુક કરાવી શકશે.
  4. આ પેકેજમાં પ્રયાગરાજ ખાતે રહેવાની વ્યવસ્થા યાત્રાળુઓ દ્વારા પોતાની જાતે કરવાની રહે છે.
  5. મહાકુંભમાં લાભ લેવા પ્રયાગરાજ ખાતે ખૂબ જ મોટી માત્રામાં યાત્રાળુઓ આવતા વ્યવસ્થા જાળવવા પગપાળા ચાલવાનું વધુ રહે છે. જેથી બુકિંગ કરાવતા તમામ યાત્રાળુઓએ ચાલવાની તૈયારી રાખવી.

નોંધનીય છે કે, આ પહેલા અમદાવાદથી પ્રયાગરાજ સુધી S.Tની વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેને શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને અન્ય શહેરોમાંથી પણ મહાકુંભ માટે બસ સેવા શરૂ કરવાની માંગ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે એસ.ટી વિભાગ દ્વારા તેમના માટે બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. 'મોક્ષથી વંચિત રહી ગયા'... રેલવેની બેદરકારીને લીધે યાત્રી મહાકુંભ જઈ શક્યા નહીં તો 50 લાખના વળતરનો દાવો ઠોક્યો!
  2. મહાકુંભમાં ગુજરાતીનો ભંડારો, સુરતના યુવાનો 24 દિવસથી સવાર-બપોર-સાંજ ભક્તોના પેટ ઠારે છે

ABOUT THE AUTHOR

...view details