બેંગલુરુ: ભારત અને ન્યુઝીલેન્ડ પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલ એટલે કે બીજો દિવસ સંપૂર્ણ રીતે ન્યૂઝીલેન્ડના નામે રહ્યો હતો. કિવી ટીમે પહેલી ઇનિંગમાં ભારતને 46 રનમાં ઓલઆઉટ કર્યું હતું. અને આ સાથે ભારતે હોમ ગ્રાઉન્ડ પર સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. જે બાદ દિવસની રમતના અંતે 3 વિકેટે ન્યુઝીલેન્ડે 180 બનાવ્યા અને આ રીતે ટીમને 134 રનની લીડ મળી ગઈ છે.
રચિન રવીન્દ્ર અને ડેરીલ મિચેલ મેદાનમાં અડીખમ:
બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે 91, વિલ યંગ 33 અને ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. રચીન રવીન્દ્ર અને ડેરીલ મિચેલ ન્યુઝીલેન્ડ તરફથી મોટો સ્કોર કરવાના ઈરાદાથી ક્રિઝ પર અડીખમ ઊભા છે.
ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ગુરુવારે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બીજા દિવસે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બેટિંગ લીધી. તેનો નિર્ણય ભારત માટે બિલકુલ યોગ્ય સાબિત થયો ન હતો. ભારતીય ટીમ 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો આ સૌથી લોએસ્ટ સ્કોર છે. ટીમના 5 બેટર્સ ઝીરો પર આઉટ થયા હતા.