ગુજરાત

gujarat

ETV Bharat / politics

MLA Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને કર્યુ અલવિદા, પક્ષ અને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ધારાસભ્ય પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. આવતીકાલે મંગળવારે બંને વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 5:15 PM IST

Updated : Mar 4, 2024, 10:12 PM IST

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની કરી અલવિદા
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની કરી અલવિદા

અર્જુન મોઢવાડિયાએ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું
મોઢવાડિયાએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને આપ્યું રાજીનામું

પોરબંદર: કોંગ્રેસ માટે આજે સૌથી મોટા અને ખરાબ સમાચાર આવ્યા છે, ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ અને કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે. એક સમયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને વિધાનસભામાં નેતા વિપક્ષ સહિત રાજ્ય અને દેશની રાજનીતિમાં મહત્વના મનાતા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા હવે કેસરિયા કરવાની તૈયારીમાં છે. આવતીકાલે અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેર બંને ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપ પક્ષમાં જોડાશે.

મોઢવાડિયા અને ડેર જોડાશે ભાજપમાં

લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તૂટી: લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસમાં ભારે નાશ ભાગના દ્રશ્યો જોવા મળે છે, છેલ્લાં એક મહિનાથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો, પૂર્વ ધારસભ્યો અને રાજ્યસભાના સાંસદ સહિત અનેક નેતાઓ પાર્ટીમાંથી રાજીનામાઓ આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસને સૌથી મોટો આચકો લાગ્યો છે. માધ્યમમાં અહેવાલો આવી રહ્યા છે કે ગાંધીભૂમિ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કેસરિયા કરશે તેવા ચોક્કસ અહેવાલો ચાલી રહ્યા છે. તે પૂર્વે આજે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ખડભડાટ મચાવી દીધો હતો તેમાં હવે અર્જુન મોઢવાડિયાનું નામ પણ જોડાઈ ગયું છે.

અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ મુક્ત થવાની તૈયારીમાં

અર્જુનભાઈ મોઢવાડિયાની રાજકીય સફરઃ લોકસેવામાં સમર્પિત રહીને તેઓ પ્રથમ વખત વર્ષ 2002 પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. વક્તૃત્વ કળા નિપૂર્ણ અને કર્તવ્ય નિભાવવા ઉત્સુક અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી. જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી. તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ. આ જવાબદારીને તેમણે ડીસેમ્બર-2012 સુધી સુપેરે નિભાવી. 2012 અને 2017 ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 2022 ચૂંટણીમાં તેઓ પોરબંદર થી ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ મુક્ત થવાની તૈયારીમાં

અર્જુનભાઈનું શિક્ષણ અને પ્રારંભિક કારકિર્દીઃગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં એક ભાઈ અને બે બહોનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યુ. ત્યાર બાદ 1982માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે, 1982થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. આ દરમિયાન તેઓ 1988માં 'એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી'ના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. એન્જિનિયરિંગના અભ્યાસ બાદ અર્જુન મોઢવાડિયાએ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા. અર્જુન મોઢવાડિયા પણ એમ કરી શક્યા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય લોકસેવાનો હતો. એટલે 1993 માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.

અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ મુક્ત થવાની તૈયારીમાં

ગુજરાત કોંગ્રેસ દાયકાઓથી જૂથવાદ ગ્રસ્ત રહી છે. અર્જુન મોઢવાડિયાને સ્વ. અહેમદ પટેલ જૂથના નેતા માનવામાં આવે છે. અહેમદ પટેલના અવસાન બાદ દિલ્હીમાં તેમના કોઈ ગોડફાધર રહ્યા નથી. ગુજરાત કોંગ્રેસનું કોઈ ખાસ રાજકીય ભવિષ્ય ન હોવાથી તેઓ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.

અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસ મુક્ત થશે
મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાનઃ અર્જુન મોઢવાડિયા રાજીનામું આપ્યું છે તેથી પોરબંદર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર અર્જુન મોઢવાડિયા ચૂંટાઈ આવે તો તેમને મંત્રી પદ આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. ભુપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ બાદ મંત્રીમંડળનો વિસ્તાર થયો નથી. આગામી લોકસભા ચૂંટણી બાદ ગુજરાતમાં મંત્રીમંડળનો વિસ્તાર થાય તેવી સંભાવના છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવે તેવી રાજકીય ચર્ચાએ ચોર પકડ્યું છે.

કોંગ્રેસ અને આપને ગુજરાતમાંથી ખતમ કરવા ભાજપની નેમઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટો સાથે જીતી છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. ઓપરેશન લોટસ અંતર્ગત વિપક્ષના નેતાઓને ભાજપના લાવવા માટે ખાસ સમિતિ બનાવવામાં આવી છે. ગુજરાતમાં સર્વપ્રથમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના સી.જે. ચાવડા અને ચિરાગ પટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. હવે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તો ચાર સીટ પર પેટા ચૂંટણી યોજાશે. ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા વધુ કેટલાક કોંગ્રેસ અને આપના ધારાસભ્ય રાજીનામું આપે તેવી સંભાવના છે.

પુંજાભાઈ વંશ પણ લાઈનમાં: રાજૂલાના પૂર્વ ધારાસભ્યએ અમરીશ ડેરે આજે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે, અમરીશ ડેરને અર્જુન મોઢવાડિયાના ટેકેદાર અને તેના જૂથના માનવામાં આવે છે, ત્યારે અર્જુનભાઈ પણ રાજીનામું આપશે તેવા અહેવાલોની વચે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ અર્જુન મોઢવાડિયાના જૂથના અને તેના ટેકેદાર હોવાને કારણે પણ તેઓ પણ ભાજપમાં જોડાશે તેવી એક અટકળો વહેતી થઈ છે. કેટલાક માધ્યમોમાં એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશને ભાજપમાં સામેલ કરાવીને તેને જુનાગઢ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર બનાવશે તેની વચ્ચે આજે પુંજાભાઈ વંશે ઈટીવી ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ અત્યારે ઉના છે કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે અને અર્જુનભાઈ રાજીનામું આપવાના છે તેવા અહેવાલો તેમને મળ્યા છે પરંતુ તેઓ આજે પણ કોંગ્રેસમાં છે અને રહેવાના છે.

અર્જુન મોઢવાડિયા છે રાષ્ટ્રીય નેતા: ગાંધીભૂમિ સાથે ખૂબ જ ઘરોબો ધરાવતા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા તરીકે પણ પ્રસ્થાપિત થયા છે. પોરબંદરના ધારાસભ્યની સાથે નેતા વિપક્ષ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સુધી પણ અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસ પક્ષે બેસાડ્યા છે. ત્યારે તેમનો પાર્ટી પ્રત્યેનો મોહભંગ અનેક સવાલો પણ ઉભા કરી રહ્યો છે. તે જ રીતે અમરીશ ડેર અગાઉ અમરેલી જિલ્લા ભાજપના યુવા પાંખના ઉપપ્રમુખ હતા. ત્યારબાદ નગરપાલિકાની ટિકિટના વિવાદને લઈને તેણે ભાજપ માંથી રાજીનામુ આપીને બહુજન સમાજ પાર્ટીમાંથી નગરપાલિકાની ચૂંટણીમાં ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2017માં કોંગ્રેસે અમરીશ ડેરને રાજુલા વિધાનસભા બેઠક પર પસંદ કરીને ધારાસભ્ય પણ બનાવ્યા. ત્યારે આજે અચાનક અમરીશ ડેરે રાજીનામું આપ્યું છે અને અર્જુન મોઢવાડિયા કોઈ પણ સમયે રાજીનામું આપી શકે છે તેવા અહેવાલોની વચ્ચે અર્જુનભાઈના ટેકેદાર પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસમાં રહેશે તેવો ભરોસો તેમણે વ્યક્ત કર્યો છે.

  1. Ambarish Der: રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, આવતીકાલે કેસરિયા કરશે
  2. Reshma Patel: દિલ્હી સરકારે મહિલાઓ માટે 1000 રુપિયાની સહાયક યોજના શરુ કરી, રેશમા પટેલે આપી પ્રતિક્રિયા
Last Updated : Mar 4, 2024, 10:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details