તિરુપતિ:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથે ચંદ્રયાન-4 મિશન અંગે વિશેષ માહિતી આપી છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોહન બાબુ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધતા ISROના અધ્યક્ષે કહ્યું કે ચંદ્રયાન-4 મિશન એ એક ખ્યાલ છે જેને આપણે ચંદ્રયાન શ્રેણીની સિક્વલ તરીકે વિકસાવી રહ્યા છીએ. સોમનાથે કહ્યું કે અવકાશ સંશોધન એ સતત પ્રક્રિયા છે. ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.
સતીશ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એટમોસ્ફેરિક રિસર્ચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેશનલ સ્પેસ ડે ફંકશનને સંબોધતા ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે, અમે 2040 સુધીમાં ચંદ્ર પર પગ મૂકવા માગીએ છીએ.
ઈસરોના અધ્યક્ષ ડો.સોમનાથે જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાન મોદી ચંદ્રયાન-3ની પ્રેરણા લઈને 2040 સુધીમાં ચંદ્ર પર પગ મુકવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 નું પ્રક્ષેપણ લગભગ 7 લાખ લોકોએ માત્ર YouTube દ્વારા જોયું હતું અને લાખો લોકોએ તેને શાળાઓ, યુનિવર્સિટીઓ, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્ટ્રીમિંગ દ્વારા પરોક્ષ રીતે જોયું હતું.