Published : Sep 21, 2023, 6:21 PM IST
Ganesh Chaturthi 2023 : રસોઈઘરની વસ્તુઓનો ઉપયોગ કરી હાલોલની મહિલાએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ
પંચમહાલ : ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીના પાવન પર્વને દેશભરમાં ભારે ઉત્સાહથી મનાવવામાં આવે છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ આ તહેવારનું અનેરૂ મહત્વ રહેલું છે. ગુજરાતના શહેરોમાં તો ઠીક પણ હવે તો ગામડાઓમાં પણ લોકો ગણેશજીની સ્થાપના કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હજુ પણ ગણેશજીની પીઓપીની મૂર્તિનું ચલણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. જેમાં વધારે પડતા કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો હોય છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ : હવે પ્રકૃતિપ્રેમીઓ ધીરે ધીરે માટી તેમજ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવા તરફ વળી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ અક્ષીબેન શાહ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં રસોડામાં ઉપયોગ થતી ચીજ-વસ્તુઓ દ્વારા ગણેશજીની મૂર્તિ સહિત 11 બ્રાહ્મણોનું મંડળ પણ બનાવ્યું છે. -- અક્ષી શાહ
મરી મસાલાના ગણેશજી : પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની સ્થાપના થાય એ હેતુથી હાલોલની ગૃહિણી દ્વારા રસોડામાં હાજર ચીજ વસ્તુઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવ્યા છે. દરેક રસોડામાં મળી આવતા મરી મસાલાની વસ્તુઓ દ્વારા ચાર દિવસની મહેનત દ્વારા ગણેશજી બનાવવામાં આવ્યા છે. સાથે ગણેશજીનું આહવાન કરતા ભૂદેવોના આખા મંડળની પણ રચના કરવામાં આવી છે.
અદ્ભુત ડેકોરેશન : હાલોલના નટવરનગરમાં રહેતા અક્ષી શાહ દ્વારા તજ, લવિંગ, જાયફળ, સોપારી જેવી રોજબરોજ રસોડામાં ઉપયોગમાં લેવાતી ચીજ-વસ્તુઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવામાં આવ્યા છે. ચાર દિવસની મહેનતથી બનાવેલા આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની આરાધના કરવા માટે 11 બ્રાહ્મણોનું એક મંડળ પણ અક્ષી શાહ દ્વારા બનાવવામાં આવ્યું છે. બ્રાહ્મણો દ્વારા ગણેશજી પાઠ કરવામાં આવતા હોવાનું અને યજ્ઞ તેમજ પૂજન કરવામાં આવતું હોવાનું ડેકોરેશન ઉભું કરવામાં આવ્યું છે.