- ઇન્ટ્રાનેઝલ રસી અને તેની કામગીરી
રસી આપવાની સૌથી સામાન્ય પદ્ધતિ ઇન્ટ્રામસ્ક્યુલર દ્વારા અથવા તો સબક્યુટેનિયસ ઇન્જેક્શન વાટે રસી શરીરમાં દાખલ કરવાની છે. પણ રસી આપવાની અન્ય પણ કેટલીક પદ્ધતિઓ છે. આ પદ્ધતિ ઇન્ટ્રાડર્મલ રૂટ, ઇન્ટ્રાનેઝલ રૂટ અને ઓરલ રૂટની છે.
કોરોના સામે લડત આપવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસાવાઇ રહેલી ઇન્ટ્રાનેઝલ રસી વિશે વાત કરીએ તો, આ રસી નોન-ઇન્વેઝિવ અને નીડલ-ફ્રી છે, અર્થાત્ રસી આપવા માટે સોયનો ઉપયોગ થતો નથી. સામાન્યપણે વાઇરસ નાકવાટે આપણા શરીરમાં પ્રવેશ કરતો હોવાથી રસી રોગપ્રતિકારક વ્યવસ્થાને વાઇરસ સામે લડવા માટે લોહીમાં તથા નાકમાં પ્રોટિન ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે. આ રસીને નસકોરાંમાં સ્પ્રે કરવામાં આવે છે. અને આ સ્પ્રે સોય વિનાની સિરીન્જ, નેઝલ સ્પ્રે, લિક્વિડ મેડિસિન કે એરોસોલ ડિલીવરીની મદદથી કરી શકાય છે.
આ રીતે રસી આપવાનું કાર્ય સરળ હોવાની સાથે-સાથે સોયથી ગભરાતી વ્યક્તિઓ માટે બહેતર વિકલ્પ પૂરો પાડે છે. સાથે જ, સોયનો ઉપયોગ ન થતો હોવાથી તેના થકી ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા પણ દૂર થઇ જાય છે.
રસીનાં અન્ય સ્વરૂપોની તુલનામાં બહેતર રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવાની સંભવિતતાની સાથે-સાથે નાકવાટે આપવામાં આવતી રસી જાતે પણ લઇ શકાય છે. સાથે જ તેનાથી સિરીન્જ અને સોય જેવાં મેડિકલ સાધનોનો વપરાશ પણ ઘટી જાય છે અને રસીકરણના અભિયાનનો સમગ્રતયા ખર્ચ પણ ઘણો ઓછો થઇ જાય છે.
રસી વિશે ભારત બાયોટેકનો અભિપ્રાય
ઇન્ટ્રાનેઝલ રસીનું ઉત્પાદન કરી રહેલી કંપની ભારત બાયોટેકે જણાવ્યું હતું કે, આ પ્રકારની રસીના ફાયદા નીચે પ્રમાણે છેઃ
- ઇન્ટ્રાનેઝલ રસી વ્યાપક રોગપ્રતિકારક પ્રતિસાદને ઉદ્દીપ્ત કરે છે. સંક્રમણની જગ્યાએ (નેઝનલ મ્યુકોસામાં) રોગપ્રતિકારક પ્રતિસાદ કોરોનાના સંક્રમણ અને તેના પ્રસરણ, બંનેને અટકાવવા માટે જરૂરી છે.
- નોન-ઇન્વેઝિવ, નીડલફ્રી
- શરીરમાં રસી દાખલ કરવાનું કાર્ય સરળ છેઃ ડોઝ લેવા માટે તાલીમબદ્ધ હેલ્થ કેર વર્કર્સની જરૂર નથી.
- સોય સાથે સંકળાયેલાં (ઇજા અને સંક્રમણનાં) જોખમો દૂર થાય છે.
- ઊંચી સ્વીકાર્યતા (બાળકો અને પુખ્તો માટે સાનુકૂળ)
- માપી શકાય તેવું ઉત્પાદન – વૈશ્વિક માગને પહોંચી વળવા માટે સક્ષમ.
આમ, ઇન્ટ્રાનેઝલ રસીનાં પરીક્ષણો દેશમાં પટના, ચેન્નઇ, હૈદરાબાદ અને નાગપુર સહિતનાં શહેરોમાં શરૂ થઇ ચૂક્યાં છે અને કંપની સેન્ટ્રલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા (CTRI) અનુસાર ઉપર જણાવેલાં શહેરોમાં 175 સહભાગીઓ પર રસીનું પરીક્ષણ કરશે.