વલસાડઃ ભારતના પાડોશી દેશ ચીનના વુહાન શહેરમાં અત્યાર સુધીમાં 80થી વધુ લોકોનો જીવ લેનાર કોરોના વાઈરસના કારણે અનેક દેશોમાં ગભરાટ ફેલાયો છે. આ વાઈરસ ભારતમાં પ્રવેશ ન કરે, તે માટે દરેક એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બહારથી આવનારા તમામ લોકોને તપાસવામાં આવી રહ્યાં છે. તેમ છતાં પણ જો ભારતમાં ક્યાંક આવા કોઈ કિસ્સો બહાર આવે તો, તેને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દરેક રીતે સજ્જ છે.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રે તેમના તમામ ડોક્ટરો સાથે વિશેષ બેઠક કરી કોરોના વાઈરસ અંગેના લક્ષણો અને તેના સ્કેનિંગ અંગેના જાણકારી આપી દેવામાં આવી છે. બીજી તરફ વલસાડ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કોઈપણ સમયે જો આવા દર્દીઓ આવે, તો તેમના માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પુરૂષ મહિલા એમ 50 બેડના આઇસોલેશન વોર્ડ દરેક પ્રકારના અત્યાધુનિક સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યો છે. જો કે, જિલ્લામાં હજૂ સુધી ક્યાંય પણ કોઈ આવો કિસ્સો બહાર આવ્યો નથી. આમ છતાં પણ આરોગ્ય તંત્ર આવી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગાઉથી જ સજ્જ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વાયરસના લક્ષણો ફ્લુની જેમ જ ફેલાય છે. નાકમાંથી પાણી પડવું, આંખો લાલ થઈ, જવી શરીરે ખંજવાળ આવવી જેવા કેટલાક લક્ષણો આ વાઈસરની અસરમાં જોવા મળે છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં બહારથી આવેલા કે, અહીં વસવાટ કરતા કોઈ પણ વ્યક્તિમાં આ પ્રકારે કોઈપણ કેસ બહાર આવ્યો ન હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યની ટીમ સજ્જ બની છે.
