વલસાડઃ આજે ચાર દિવસ વિતવા છતાં એક પણ ટ્રેન મૂકવામાં ન આવતા વતન જવા માટે હાથમાં ટિકિટ લઈને રાહ જોઈ રહેલા લોકોની ધીરજ ખૂટી પડી હતી અને આ તમામ શ્રમિકો વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં એકત્ર થઇને પાલિકાના સંચાલક અધિકારી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે વલસાડ જિલ્લાની વિવિધ જીઆઇડીસીઓમાં ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિસ્તારોમાંથી મજૂરીકામ અર્થે આવેલા શ્રમિકો છેલ્લા બે માસથી અટવાઈ પડ્યા છે, જો કે તેમને પોતાના વતન મોકલવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. જેમાં કેટલીક ટ્રેનો વલસાડથી રવાના થઈ ચૂકી છે. પરંતુ ગત તારીખ 20ના રોજ 1,200થી વધુ લોકોને લઈને લખનઉ અને આગળ આ તરફ જનારી ટ્રેન અચાનક કોઇ અગમ્ય કારણોસર કેન્સલ કરી દેવામાં આવી હતી.
શ્રમિકોએ કહ્યું કે, તેઓને પોતાના વતન જવું છે. મૂળ મજૂરી કરવા માટે આવેલા લોકો ભાડાના પૈસા અને પોતાની પાસે રાખવા લાવેલા પૈસા પણ ખર્ચી બેઠા છે અને તેઓની પાસે માત્ર હવે હાથમાં વતન જવા માટે એક ટિકિટ જ રહી છે. અને એ ટિકિટની લોલીપોપ આપ્યા બાદ વહીવટી તંત્ર છેલ્લા ચાર દિવસથી એક પણ ટ્રેન ન મુકતા પાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વતન જવા માટે એકત્ર થયેલા અનેક શ્રમિકોની ધીરજ ખૂટી પડી હતી.
આ અધિકારીએ તેઓને આશ્વાસન આપતાં જણાવ્યું કે, જ્યાં સુધી ટ્રેન અહીંથી મુકાઈ નહીં ત્યાં સુધી તમારા માટે રહેવા અને ખાવાપીવા માટે પાલિકાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હંમેશા માટે ખુલ્લો રાખવામાં આવશે.