વડોદરા: શહેરના આંબેડકરવાદી આગેવાનો અને સંગઠનોએ મેયર, ડેપ્યૂટી મેયર તેમજ વિરોધ પક્ષના નેતાને આવેદનપત્ર પાઠવ્યું હતું કે, ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજ નીચે રેશકોર્ષ ખાતે આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા 20થી 25 ફૂટ આગળ લઇ આવી પ્રસ્થાપિત કરવી જોઈએ. જે અગાઉ બંને પક્ષ વચ્ચે સહમતિ થઈ હતી, પરંતુ ત્યારબાદ કોર્પોરેશનની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાની જગ્યાએ સ્થળાંતર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે ખુબ જ આઘાત જનક બાબત છે અને તેની સામે અમે વિરોધ કરી રહ્યા છે.
જેથી, સ્થાયી સમિતિમાં લેવાયેલો નિર્ણય ફરી બદલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા 20થી 25 ફૂટ આગળ લઇ આવી પ્રસ્થાપિત કરવી જોઈએ તેવી માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે જગ્યા પર પ્રતિમાનું સ્થાપન કરવાનો નિર્ણય કરાયો છે. તેની પાસેની કેટલીક જગ્યા કાયદાની ગુંચવણમાં અટવાયેલી છે. તેમજ આ જગ્યાનું નિરાકરણ આવતા પાલિકા કોઈ ખાનગી વ્યક્તિને પધરાવી દે અને ત્યાં બાંધકામ ઉભું થવાની શકયતા રહેલી છે. જેથી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ગરિમા જળવાશે નહીં તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત જો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો પાલિકાના કહ્યાં પ્રમાણે સ્થળાંતર કરવું હોય તો તે સ્થળની આસપાસ કોઈ ખાનગી બાંધકામ નહીં થાય તેવી પાલિકા પાસે લેખિતમાં આંબેડકરવાદી આગેવાનોએ માગ કરી હતી.