સુરતઃ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. વાતાવરણમાં ફેરફારને લીધે વિવિધ રોગો માથુ ઉચકી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ન્યૂમોનિયાને લીધે 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં એક તો નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર અને બીજુ 3 મહિનાનું બાળક છે. આ બંનેના મૃત્યુ નવી સિવિલ હોસ્પિટલમાં થયા છે.
3 મહિનાનું બાળકઃ અંકલેશ્વર રહેતા પરિવારનું 3 મહિનાનું ઉત્કર્ષ નામક બાળક છેલ્લા 1 મહિનાથી ન્યૂમોનિયા રોગની સારવાર હેઠળ હતું. જો કે તબિયતમાં સુધારો ન થતા તેને નવી સિવિલ હોસ્પિટલ સુરત લવાયું હતું. આ બાળકને 1લી જાન્યુઆરીએ સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ફરજ પરના હાજર તબીબોએ બાળકને ટીબી પણ થયો હોવાનું જણાવ્યું હતું. તબીબોએ બાળકની સઘન સારવાર શરુ કરી હતી. જો કે ન્યૂમોનિયા સામે આ બાળક જિંદગીનો જંગ હારી ગયું હતું અને મૃત્યુ પામ્યું હતું. પોતાના બાળકને ન્યૂમોનિયા ભરખી જતા પરિવાર શોકમાં ગરકાવ બની ગયો હતો.
રેસિડેન્ટ ડૉક્ટરઃ સુરતના રામાણી પરિવારનો 26 વર્ષીય પુત્ર રાજેન્દ્ર નવી સિવિલ હોસ્પિટલમાં પીજીના કોર્ષ માટે સર્જરી વિભાગમાં અભ્યાસ કરી રહ્યો હતો. રાજેન્દ્ર તેના અભ્યાસના પ્રથમ વર્ષમાં હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે સેવા આપતો હતો. ઘણા સમયથી રાજેન્દ્રની તબિયત નાદુરસ્ત રહેતી હતી. તેને ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કે તેને ન્યૂમોનિયા છે. સત્વરે રેસિડેન્ટ ડૉક્ટરની સારવાર ચાલુ કરી દેવામાં આવી. જો કે સારવાર દરમિયાન રેસિડેન્ટ ડૉક્ટર રાજેન્દ્ર રામાણીનું મૃત્યુ થયું હતું. મૂળ સાવરકુંડલાના વતની એવા રાજેન્દ્રના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.