પ્રધાનમંત્રી આવાસ યોજનાના મોટા ભાગના લાભાર્થીઓને સબસીડી મળી નથી. આવા લાભાર્થીઓ માટે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આવાસ યોજનામાં દસ્તાવેજ બનાવતી વખતે લાભાર્થીના લગ્ન ન થયા હોય કે લગ્ન થયા હોય અને પત્નીનું નામ ઉમેરવાનું રહી ગયું હોય અથવા લાભાર્થી વિધુર હોય તેવા કિસ્સામાં સબસીડીની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હતી. જે અંગે નવસારીના સાંસદ સી. આર.પાટીલે રજૂઆત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુચનાથી નોટીફિકેશન જારી કરી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. જેની સમજ આપવા અને આગામી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી લાભાર્થીના બેંક ખાતામાં સબસીડીના નાણાં વહેલી તકે જમા થાય તેની માહિતી આપવા અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડીથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓએ સાંસદના સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશેષ સમજૂતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. એટલુ જ નહીં સબસીડીના નાણાં મેળવવાની આશા દેખાતા લાભાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
મહત્વની વાત છે કે, સુરતમાં પ્રધાનમંત્રી આવાસ લાભાર્થીઓની સંખ્યા વધુ છે. તેઓની સબસીડી છેલ્લા લાંબા સમયથી અટવાયેલી છે. યોગ્ય માહિતીના ભરવાના કારણે સમસ્યા ઉદ્ભવી હતી. જે સમસ્યાનું નિરાકરણ હવે દૂર થવાની આશા બંધાઈ છે. માત્ર 300 રૂપિયાના ખર્ચે દસ્તાવેજી સુધારો કર્યા બાદ સબસીડીના નાણાં લાભાર્થીને બેન્ક ખાતામાં ટૂંક જ સમયમાં જમા થઈ જશે. જેનો લાભ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને મળી રહેશે. જો કે સુરત ખાતે યોજાયેલા આ સંવાદ બાદ લાભાર્થીઓમાં ખુશી વ્યાપી હતી.