- સુરતમાં નાતાલ પર્વની ઓનલાઈન ઉજવણી
- પ્રાર્થના સભામાં લોકોને ગાઈડ લાઈન મુજબ પ્રવેશ
- કોરોનાની મહામારીને લઈને તમામ કાર્યક્રમો રદ
સુરત : નાતાલ પર્વ પર દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીને લઈને સુરતમાં આ વર્ષે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તેમજ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાર્થના સભામાં લોકોને ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો.


ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન
25 મી ડિસેમ્બર નાતાલનો પર્વ હોય છે અને આ દિવસ ક્રિશ્ચિયન સમાજના લોકો માટે સૌથી ખાસ દિવસ ગણવામાં આવે છે. નાતાલ એ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવા ક્રિશ્ચિયન સમાજના સૌ કોઈ લોકો આતુરતાથી વાટ જોઇ બેઠા હોય છે. ત્યારે શહેરના તમામ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવા અદભુત પ્રકારનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જુના આ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મ દિવસની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ સાથે જ અદભૂત પ્રકારનું ક્રિસમસ ટ્રી પણ તૈયાર કરવામાં આવ્યું હતું. ઈસુના જન્મ દિવસ જે ગામડામાં થયો હતો તે તમામ પાત્રો આ ઝાંખીમાં દર્શાવવામાં આવ્યા હતા. બીજી તરફ કોવિડની મહામારી અને સરકારની ગાઈડ લાઇન મુજબ આ વખતે ચર્ચમાં દર વર્ષે જોવા મળતી કાર્યક્રમોની ઝાકમઝોળ જોવા મળી નહોતી. પરંતુ ઓનલાઈન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચમાં માત્ર એક કલાકની પ્રાર્થના - સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા
જેમાં લોકોને ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યાં તમામ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ ભગવાન ઇસુને કોરોનાની મહામારી દુર થાય તેવી પાર્થના કરી હતી.