- ઓલપાડ, પલસાણા અને માંડવીમાં સ્વૈચ્છિક લોકડાઉન
- સોમવારે બારડોલી અને માંગરોળમાં જાહેર કરવામાં આવ્યું હતું લોકડાઉન
- જિલ્લામાં દરરોજ 300થી વધુ કેસ આવી રહ્યા છે સામે
સુરતઃ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં 300થી વધુ કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે આ સમયે હવે લોકો કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્વયંભૂ લોકડાઉન લાગુ થાય તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ બારડોલીમાં 6 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
13 એપ્રિલથી 18મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
બારડોલી વહીવટી તંત્ર દ્વારા સોમવારે બારડોલી નગરપાલીકા ઉપરાંત કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી અને બાબેનમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં 13 એપ્રિલથી 18મી એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માંગરોળ તાલુકમાં વાંકલ અને ઝંખવાવ ગ્રામ પંચાયત દ્વારા પણ સોમવાર અને મંગળવારના રોજ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે સ્વૈચ્છીક લોકડાઉનનો વિચાર અન્ય તાલુકાઓમાં પણ પ્રસરી રહ્યો છે.
માંડવીમાં 15 થી 23 એપ્રિલ સુધી લોકડાઉન
કોરોનાથી બચવા માટે માંડવી નગરપાલિકા વિસ્તારમાં 15 એપ્રિલથી 23 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજો જેવી કે, દૂધ, મેડિકલ અને શાકભાજીની દુકાનો જ ખુલ્લી રહેશે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકડાઉનનો અમલ કરવાની અપીલ કરાઈ હતી.
આ પણ વાંચોઃ ઇડરના દરામલી ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
પલસાણામાં 25 એપ્રિલ સુધી રહેશે દુકાનો બંધ
આ ઉપરાંત પલસાણા ગ્રામ પંચાયત દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉનને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર પલસાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં દુકાનદારો, વેપારીઓ તેમજ શાકભાજી વિક્રેતાઓને 14 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને શાકભાજીની દુકાનો સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
ઓલપાડમાં 16થી 18 એપ્રિલ સુધી આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ
ઓલપાડમાં પણ ઓલપાડ ટાઉન અને અસનાબાદ ગામમાં 16 એપ્રિલથી 18 એપ્રિલ સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન મેડિકલ, હોસ્પિટલ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે 7થી 1 અને સાંજે 4 થી 7 દરમિયાન ચાલુ રાખી શકાશે. તેમજ રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂંનો પણ ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.