સાબરકાંઠા: ગત રોજ થયેલા વરસાદ બાદ મંગળવાર બપોર બાદ ફરી વરસાદ શરૂ થતા જિલ્લાના ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો હતો.આ વર્ષે સૌથી વધુ વાવેતર મગફળી, કપાસ તેમજ સોયાબીનનું કરવામાં આવ્યું છે. જેથી જરૂરિયાતના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં 105 ટકા જેટલો વરસાદ થયો હતો જેના પગલે જિલ્લાના તમામ જળાશયો તેમજ નાના-મોટા તળાવ અને સરોવર પાણીથી તરબોળ થયા હતા. જેના કારણે જિલ્લામાં મગફળી અને કપાસ સહિત અન્ય ધાન્ય અને કઠોળ પાક પણ વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયો હતો. જોકે આ વર્ષે પણ 100 ટકાથી વધુ વરસાદ થાશે તો જિલ્લાના ખેડૂતો દ્વારા તમામ પ્રકારના કઠોળ અનાજ તેમજ તેલીબિયાં પાકમાં વધારો થાય તેમ છે.તેમજ સાથો સાથ અત્યારથી જે પ્રકારે વરસાદની શરૂઆત થઇ છે તે જોતા આ વર્ષે પણ 100 ટકાથી વધારે વરસાદ થાય તેવી પૂરી સંભાવનાઓ સેવાઇ રહી છે.